મેંદરડા પ્રાત કક્ષામાં સમાવિષ્ટ ગામોમાં ૧૦૦ લાખનાં ખર્ચે ૪૧ કામોનું થયુ ખાતમૂહૂર્ત જ્યારે ૩૫૪ લાખનાં ખર્ચે ૬૩ કામોનું થયુ લોકાર્પણ
જૂનાગઢ તા. ૧૨, જૂનાગઢ જિલ્લાનાં માળીયા હાટીના ખાતે પટેલ સમાજનાં હોલમાં યોજાયેલ પ્રાંતકક્ષાની વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શાંતાબેન ખટારીયાનાં હસ્તે માળીયા હાટીના તાલુકાના ૭૨ લાખનાં ખર્ચે ૩૨ વિકાસ કામો અને મેંદરડા તાલુકાનાં ૩૨ લાખનાં ખર્ચે નવ વિકાસ કામોનું ખાતમૂહૂર્ત કરવામાં આવ્યુ હતુ. સાથે સાથે માળીયા હાટીનાં તાલુકામાં ૨૦૦ લાખનાં ખર્ચે પુર્ણ થયેલ ૩૯ વિકાસ કામો અને મેંદરડા તાલુકામાં ૧૫૧ લાખનાં ખર્ચે સંપન્ન થયેલ ૨૪ વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.
માળીયા હાટીના ખાતે યોજાયેલ વિશ્વાસથી વિકાસયાત્રા અંતર્ગત કાર્યક્રમનો મંગલ દિપ પ્રગટાવી જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ પ્રારંભ કરાવી પ્રાસંગિક ઉદબોધનમાં શ્રીમતી શાંતાબેને જણાવ્યુ હતુ કે મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા શહેરો અને ગ્રામ્ય સ્તરોનો સંતુલીત દિશામાં અનેકવિધ કાર્યો થઇ રહ્યા છે. આજે મેંદરડા પ્રાંત કક્ષામાં ૪૫૮ લાખનાં ખર્ચે ૧૦૪ વિકાસ કામોની આ વિસ્તારને ભેટ મળી છે. જેના થકી લોકસુખાકારીમાં ખુબ લાભ થશે. ‘સૌનો સાથ, સૌનો વિકાસ સાથે સૈાનો પ્રયાસ’નાં મંત્ર સાથે આજે ગુજરાત વિકાસનો પર્યાય બની ચૂક્યું છે. વિકાસનું એક એવું મોડલ ગુજરાતે વિકસાવ્યું છે જે રાજ્યનાં દરેક નાગરિકોનાં જીવનને સ્પર્શે છે. જ્યારે જ્યોતિગ્રામ યોજના થકી ગુજરાતનાં ગામડાઓમાં ૨૪ કલાક નિરંતર થ્રી-ફેઝ વીજપ્રવાહ પૂરો પાડવામાં આવે છે. આનાં પરિણામો હવે સૌ કોઈ જોઈ શકે છે. ગ્રામીણ અર્થતંત્ર હવે ખાસ્સુ સશક્ત બન્યું છે અને ગામડાઓમાંથી શહેરો તરફ થતા સ્થળાંતરણમાં પણ ઘટાડો થયો છે. આ પ્રકારનું કદમ ઉઠાવનાર ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્ય છે.
આ પ્રસંગે સાવજ ડેરીનાં ચેરમેનશ્રી દીનેશભાઇ ખટારીયાએ જણાવ્યુ હતુ કે પુન:પ્રાપ્ય ઊર્જાનાં અન્ય સ્ત્રોતોનો ઉપયોગ કરવાની દિશામાં પણ ગુજરાત રાજ્યે ઝડપી વિકાસ કર્યો છે. વીજશક્તિ ઉપરાંત જળશક્તિનો લાભ મેળવવા ગુજરાત સરકારે કૃતનિશ્ચયી પ્રયાસો કર્યા છે. ગુજરાતભરનાં ગામડાઓમાં શુધ્ધ પાણી પહોંચાડવાનાં ઉદ્દેશ્યથી વાસ્મોની રચના થઇ. જનભાગીદારી અને અસરકારક જળવ્યવસ્થાપનને કારણે આજે ગુજરાતમાં પાણી સમિતિઓનાં કુશળ સંચાલન થકી નળ થી જળ ની વાત સાર્થક બની છે પ્રાથમિક શિક્ષણ, અને ખાસ કરીને કન્યાઓ માટે શિક્ષણનાં ક્ષેત્રે અસરકારક વહીવટ દ્વારા હકારાત્મક પરિણામો મેળવી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનાં વિરાટ અભિયાનો થકી સુંદર પરીણામો હાંસલ કરી શક્યા છીએ.
આ પ્રસંગે તાલુકા પંચાયત મેંદરડાનાં પ્રમુખ વિનુભાઇ રાજાણીએ પ્રાસંગિક વાત કરતા જણાવ્યુ હતુ કે ગુજરાતનાં વિકાસ પાછળ નારીશક્તિનો મોટો ફાળો છે. ગુજરાતે સૌપ્રથમ વખત મહિલાઓનાં જીવનમાં બદલાવ લાવવા હોસ્પિટલમાં નિશુલ્ક તબીબી સારવાર, શિશુઓનાં સ્વાસ્થ્યમાં સુધાર, નારીશક્તિને વિકાસ પ્રક્રિયામાં ભાગીદાર બનાવવી, નારીગૌરવ નીતિ અમલમાં મૂકવી, મિશન મંગલમ યોજનાનો થકી સખીમંડળોનાં માધ્યમથી બહેનોને પગભર બનાવવી જેવી અનેક લોકહીતકારી યોજનાઓ થકી આજે ગુજરાત વિકાસની ડગર પર અગ્રેસર છે.
આ પ્રસંગે માળીયા તાલુકા પંચાયત પ્રમુખશ્રી દિલીપસીંહ સિસોદિયાએ વાત કરતા જણાવ્યુ હતુ કે કૃષિમહોત્સવ જેવા કૃષિ પ્રોત્સાહક પ્રસયાસો અને કૃષિ કલ્યાણ યોજનાઓ થકી ગુજરાતમાં કૃષિક્ષેત્રની કાયાપલટ થઈ ગઈ છે, અને ગુજરાત ભારતની બીજી હરિત ક્રાંતિનું જનક બન્યું છે. ગુજરાતની કૃષિ આવકમાં અનેક સ્તરે વધારો થયો છે, કૃષિ સાથે-સાથે ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ જબરદસ્ત ઉંચાઈએ પહોંચ્યો છે. ગુજરાતમાં અનેકવિધ ઉદ્યોગોનું અસ્તિત્વ જોવા મળે છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટને કારણે દુનિયાભરમાંથી ગુજરાતમાં મોટા પાયે મૂડીરોકાણ આવી રહ્યું છે. વહીવટી સત્તાનું વિકેન્દ્રીકરણ કરીને તાલુકાઓનું સશક્તિકરણ કરવાનાં ઉદ્દેશ્ય સાથે ‘આપણો તાલુકો વાઈબ્રન્ટ તાલુકો’ (એટીવીટી) કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે તથા જનસેવા કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે, જ્યાં લોકોને ૧૨૪ પ્રકારની સેવાઓ પ્રદાન કરવામાં આવે છે.
આ પ્રસંગે રાજ્યમાં થયેલ અને થનાર વિકાસનાં કામોની ઝલક રજુ કરતી ફિલ્મ સૈાએ નીહાળી હતી. કાર્યક્રમનાં પ્રારંભે પ્રાંત અધિકારી સુશ્રી નિશાબેન ચુડાસમાએ આમંત્રિત સૈાને આવકારી કાર્યક્રમનો હાર્દ રજુ કરતા જણાવ્યુ હતુ કે સૌનાં સહકારથી આવનાર વર્ષોમાં આપણે એક ભવ્ય અને દિવ્ય ગુજરાતનું નિર્માણ કરીશું
આ પ્રસંગે અગ્રણીશ્રી ઠાકરશીભાઇ જાવીયા, હમીરભાઇ સીસોદીયા, બી.કે. સીસોદીયા, ગડુનાં સરપંચ શ્રી બાદલ, માળીયા મામલતદારશશ્રી ડોડીયા, મેંદરડા મામલતદાર શ્રી ભલગરીયા, તાલુકા વિકાસ અધિ કારી શ્રી હરેશ ચૈાધરી, તથા રજની ઠુમર સહિત વિવિધ ગામોમાંથી સરપંચશ્રીઓ, તાલુકા જિલ્લા પંચાયતનાં સદસ્યશ્રીઓ ગ્રામજનો, આગેવાનો ભાઇઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન રમેશ જોષીએ સંભાળ્યુ હતુ.
અશ્વિન પટેલ
