રાજકોટ
સરદાર પટેલ યુનિવર્સીટીના કુલપતિ ડો. શિરિષ કુલકર્ણીને ગેરલાયક ઠરાવતો આદેશ સુપ્રીમકોર્ટે આપ્યા બાદ શિક્ષણજગતમાં ખળભળાટ મચી ગયો છે. સુપ્રીમ કોર્ટે સરકારની પણ ઝાટકણી કાઢતા કહ્યું હતું કે રાજ્યની યુનિવર્સિટીઓમાં યુજીસીના નિયમ મુજબ લાયકાત ધરાવતા શિક્ષણવિદને જ કુલપતિ તરીકે પસંદ કરવા પરંતુ હજુ પણ રાજ્યની ૧૧ યુનિવર્સીટીના કુલપતિ યુજીસીના નિયમ મુજબની લાયકાત ધરાવતા નહીં હોવાનું ખુલ્યું છે. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના એજ્યુકેશન ફેકલ્ટીના ડીન ડૉ. નિદત બારોટે કહ્યું છે કે ૧૧ જેટલી યુનિવર્સિટીઓમાં કુલપતિ લાયકાત ધરાવતા નથી છતાં યુજીસીએ નિયત કરેલો ૨ લાખ રૂપિયાથી વધુ પગાર તેઓ લઈ રહ્યા છે. યુજીસીના નિયમ પ્રમાણે ૧૦ વર્ષ પ્રોફેસર રહ્યા હોવા જાેઈએ અને પીએચડીની પદવી ધરાવતા હોવા જાેઈએ પરંતુ મોટાભાગના આ પૈકીની લાયકાત ધરાવતા નથી. યુજીસીના નિયમો મુજબની લાયકાત ન ધરાવતા કુલપતિઓના પગાર અને ભથ્થા પરત વસૂલવામાં આવે તે માટે ગુજરાત કોંગ્રેસ સમિતિના ડૉ. મનિષ દોશી અને ડૉ. નિદત બારોટે ઓડિટર જનરલને લેખિત રજૂઆત કરી માંગણી કરી છે. તેમણે કહ્યું છે કે લાયકાત ન ધરાવતી વ્યકિત આ પ્રમાણેનો ગેરબંધારણીય અને ગેરકાયદેસર પગાર લેતા હોય ત્યારે આ પગારના તેઓ હકદાર હતા નહીં. રાજ્ય સરકારની તિજાેરીને આને કારણે મોટું નુકસાન થયું છે. જ્યારે ઓડિટ વિભાગ કોઈ કર્મચારીના પગાર અંગે તપાસ કરે અને તેમાં ક્ષતિ જણાય તો વર્ષો સુધી આ પગાર પરત મેળવવા માટે પ્રક્રિયા કરે છે, ઉપરાંત કર્મચારીનું પેન્શન પણ અટકાવે છે. યુજીસી મુજબ લાયકાત ન ધરાવતા અને કુલપતિ તરીકે ખોટી રીતે લીધેલો પગાર પરત મેળવવા અને રાજ્ય સરકારની તિજાેરીની નુકસાન ન થાય એ પ્રમાણે કાર્યવાહી કરવા માંગણી કરી છે.


