રાજકોટ
રાજકોટ મનપામાં વેક્સિનેશન શરૂ થયાને એક વર્ષ પૂરું થયું છે અને આ દરમિયાન ૧૨.૬૬ લાખ લોકોને રસીનો પહેલો ડોઝ આપીને ૧૧૦ ટકા કામગીરી સાથે વિક્રમ સર્જ્યો છે પણ તે પૈકી હજુ ઘણા લોકો બીજા ડોઝ માટે બાકી છે અને વારંવાર ફોન કરવા છતાં આ આંક ઘટતો નથી. મનપાના જણાવ્યા અનુસાર રાજકોટ શહેરમાં ૯.૮૫ લાખ એટલે કે, ૮૯ ટકા લોકોએ બીજાે ડોઝ લઈ લીધો છે. ૧૫થી ૧૮ વર્ષની વયના ૭૪૨૬૯ બાળકો સાથે તેમાં પણ ૯૦ ટકા કામગીરી થઈ છે રાજકોટમાં વેપારીઓના હિતને ધ્યાનમાં રાખીને રાત્રિ કર્ફ્યૂનો સમય ૧૦ થી ૬નો જ યથાવત રાખવા અને પ્રસંગમાં માણસની મર્યાદા ૧૫૦ કરતા ઓછી નહિ રાખવા રાજકોટ ચેમ્બરે સીએમને પત્ર લખી રજૂઆત કરી છે. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે જણાવ્યું છે કે, કોરોનાની બે લહેરમાં લોકડાઉન અને રાત્રિ કર્ફ્યૂથી વેપાર ઉદ્યોગ ખૂબ જ પ્રભાવિત થયા છે. બે લહેર બાદ પ્રથમ વખત લગ્ન સિઝન શરૂ થઈ છે જેથી કાપડ માર્કેટથી લઈને સોનીબજારમાં ખરીદી નીકળી છે. જાે રાત્રિ કર્ફ્યૂ ૧૦ થી શરૂ કરે તો વેપારીઓ આખા દિવસનો વેપાર કરીને ૯ વાગ્યે બજારમાંથી નીકળે ત્યારે ૧૦ વાગ્યે ઘરે પહોંચી શકે. તેવી જ રીતે ૪૦૦માંથી ૧૫૦ માણસની મંજૂરી મળતા લગ્નપ્રસંગને અનુરૂપ ખરીદી લોકોએ ઘટાડી દીધી છે. જાે હવે ૧૫૦ માણસથી ઓછા માણસો પ્રસંગમાં રખાશે તો વેપારમાં નુકસાનની સંભાવના રહેશે.રાજકોટ શહેર અને જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોનાના કેસ વધી રહ્યા છે. શહેરમાં અત્યાર સુધીમાં ૬૪૯૨૪ સંક્રમિતો નોંધાયા ચુક્યા છે જેમાંથી ૨૬૯૯ એકટીવ કેસ છે અને ગ્રામ્યમાં અત્યાર સુધીમાં ૧૬,૧૨૮ પોઝીટીવ કેસ નોંધાયા જેમાંથી હાલ ૬૭૦ એકટીવ કેસ છે. ગઈકાલે શહેરમાં નવા ૪૬૧ કેસ અને ૧૯૧ દર્દી ડિસ્ચાર્જ, જ્યારે ગ્રામ્યમાં ૧૨૦ કેસ સામે ૬૪ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજકોટ જિલ્લાના તાલુકાઓમાં સંક્રમણ વધી રહ્યું છે, ગોંડલ, ધોરાજી બાદ જેતપુર તાલુકો સંક્રમણનો નવો હોટસ્પોટ વિસ્તાર બની રહ્યો છે. જેમાં જેતપુર ૩૨, ધોરાજી ૨૦, ગોંડલ ૧૪, ઉપલેટા ૧૨, જસદણ ૯, રાજકોટ તાલુકા ૯, કોટડાસાંગાણી ૮, પડધરી પ, લોધીકા ૫, જામકંડોરણા ૫, વિંછીયા ૧ કેસ મળી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કુલ ૧૨૦ કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે મનપા દ્વારા રવિવારે માત્ર ૨૪૮૨ ટેસ્ટ કર્યા હતા અને તેમાંથી પણ ૩૭૮ પોઝિટિવ નીકળ્યા છે. જ્યારે સોમવારે ૪૬૧ કેસ આવ્યા છે તેમાં કેટલા ટેસ્ટ થયા હતા તેનો આંક હજુ જાહેર થયો નથી, પરંતુ જાે શહેરમાં ટેસ્ટિંગ વધે તો આંકડો વધવાની શક્યતા છે.
