આદિવાસી સંસ્કૃતિ અને પરંપરા એ ભાતીગળ સંસ્કૃતિ અને ભારત વર્ષની એક આગવી ઓળખ છે,અને આજેપણ ગુજરાત સહિત દેશભરમાં વસતા આદિવાસી સમાજ ના લોકોએ આ ભાતીગળ વર્ષો જૂની પોતાની સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખી છે,ગુજરાત ના સરહદી અને આદિવાસી બાહુલ વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાના ખજૂરીયા ગામે આ આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાની ઝાંખી જોવા મળી,છોટાઉદેપુર તાલુકાના ખજૂરીયા ગામે પાંચ વર્ષે એકવાર 10 દિવસ સુધી ઉજવાતા ગામશાઈ જુવારીયા ઇંધ ની ઉજવણી કરવામાં આવી, આદિવાસી સમાજ એ પ્રકૃતિ પૂજક સમાજ છે, અને પ્રકૃતિની રક્ષા કરતા આદિવાસીઓના દેવી દેવતાઓ પણ કાંઈક અલગ છે,બાબા પીઠોરા, બાબદેવ થી લઈ ઇન્દ્ર દેવ,ગોમદેવ,ભેંસો દેવગોંદરિયો દેવ સહિતના તમામ દેવોના સાગના લાકડામાંથી બનાવેલ જુના પ્રતિકો બદલી નવા દેવોની સ્થાપના કરવામાં આવે છે ,સાથે દસ દિવસ પૂર્વે વાવેલા જુવારા અને સાત પાક સાથે સાત ખૂંટનું રોપણ કરી બાધાઓ પરિપૂર્ણ કરવાની આદિવાસી વિધિ વિધાન મુજબ પૂજા અર્ચના કરવામાં આવે છે, અને ગામ સહિત આસપાસના વિસ્તારના લોકો આદિવાસી પોશાકમાં સજ્જ થઈ ઢોલ નગારા પાવા વગાડતા હાથમાં પોતાના પારંપરિક શસ્ત્રો એવા તીર કામઠા અને ધારીયા -પાલિયા લઈ નાચતા કુદતા આ દેવસ્થાને એકત્રિત થાય છે અને આખી રાત આનંદ ઉલ્લાસ સાથે નાચગાન કરી જુવારીયા ઇંધની ઉજવણી કરે છે અને પશુ ધન ,પાક સહિત સમગ્ર માનવ અને પ્રકૃતિની રક્ષા માટે પોતાના દેવોને રિઝવવાનો પ્રયાસ કરે છે,ઉલ્લેખનીય છે કે આદિ અનાદિકાળથી ચાલતી આદિવાસી સમાજની આ સંસ્કૃતિ અને પરંપરામાં આજની શિક્ષિત યુવા પેઢી પણ જોતરાઇને પોતાની સંસ્કૃતિ અને પરંપરા ને જાણી ઓળખી અને તેને સાચવી રહ્યા છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


