અમદાવાદ
વડાપ્રધાન મોદી ૧૮ એપ્રિલે સાંજે અમદાવાદ આવશે. તેઓ એરપોર્ટથી સીધા જ ગાંધીનગર જશે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના મહત્વના કમાન્ડ સેન્ટરની મુલાકાત લેશે. ૧૮ એપ્રિલે વડાપ્રધાન મોદી રાજભવનમાં રાત્રી રોકાણ કરશે. ૧૯ એપ્રિલે બનાસકાંઠાના દિયોદરમાં પીએમ મોદી બનાસ ડેરીના પ્લાન્ટનું લોકાર્પણ કરશે. ત્યારબાદ મહિલા પશુપાલકોના સંમેલનમાં સંબોધન કરશે. ત્યાર બાદ જામનગરમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના સહયોગથી બનનાર આયુર્વેદિક કેન્દ્રનું ભૂમિપૂજન કરશે. ૨૦ એપ્રીલે વડાપ્રધાન મોદી ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં હાજરી આપશે. અહીં આયુષ મંત્રાલયની બે દિવસીય કોન્ફરન્સમાં હાજરી આપશે. ત્યાર બાદ તેઓ દાહોદ જશે. દાહોદમાં તેઓ આદિવાસી સંમેલનને સંબોધિત કરશે. દાહોદથી અમદાવાદ પરત ફરી પીએમ મોદી દિલ્હી પરત ફરશે.તેઓ ત્રણ દિવસ ગુજરાતમાં જ રહેશે. વડાપ્રધાનના સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભરચક કાર્યક્રમો ગોઠવવામાં આવ્યાં છે. આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપે પ્રચાર શરૂ કરતાં વડાપ્રધાનની અવરજવર પણ વધી રહી છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં કેન્દ્રીય નેતાઓના આંટાફેરા ગુજરાતમાં વધી ગયાં છે. વડાપ્રધાન મોદી ઉત્તરપ્રદેશ સહિતના પાંચ રાજ્યોની ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ અમદાવાદ આવ્યાં હતાં અને રોડ શો કરીને ઉજવણી કરી હતી. તે ઉપરાંત તેમણે ખેલ મહાકુંભ ૨૦૨૨નો પણ પ્રારંભ કરાવ્યો હતો. તેમની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતની મુલાકાતો લઈ રહ્યાં છે. તાજેતરમાં જ તેઓ નડાબેટ ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. હવે વડાપ્રધાન મોદી આગામી ૧૮મી એપ્રિલે ગુજરાત આવશે.


