મોરબી
મોરબીમાં નશાબંધી અને આબકારી ખાતું- રાજકોટ / મોરબીના સંયુક્ત ઉપક્રમે જે.એ.પટેલ મહિલા કોલેજ ખાતે વ્યસનમુક્તિ અંગે નિબંધ અને વક્તુત્વ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ અંગે કોલેજના આચાર્ય ડો.પ્રફુલભાઈ પટેલના જણાવ્યા અનુસાર નશાબંધી અને આબકારી ખાતું રાજકોટ /મોરબીના અધિક્ષક ભાવિન જે ચોલેરા તથા ઇન્ચાર્જ કચેરીના અધિક્ષક પૃથ્વીરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ‘વ્યસન વહોરે વિનાશ’ અને ‘નશો નાશનું મૂળ’ આ વિષય પર વકૃત્વ સ્પર્ધા અને નિંબધ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ૫૦ જેટલી વિદ્યાર્થિનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં નશાબંધી ખાતાના ઇન્સ્પેક્ટર શર્મિલાબેન મોરી તેમજ નશાબંધી પ્રચારક શાંતિલાલ ચાનપુરાએ હાજર રહીને જરૂરી માર્ગદર્શન અને માહિતી આપી હતી તથા બંને સ્પર્ધાઓના વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા મોરબી જિલ્લા એનએસએસના કો-ઓર્ડીનેટર વનિતાબેન પટેલ દ્વારા વિદ્યાર્થીનીઓને વ્યસન મુક્તિના વાહક તરીકે ફરજ બજાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે નશાબંધી પ્રચારક શાંતિલાલ ચાનપુરા દ્વારા ઉપસ્થિત સર્વેને વ્યસન મુક્તિ અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
