રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ખીજડીયા ગામે ૪ જગ્યાએ પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત તેમજ સ્મશાનમાં કમ્પાઉન્ડ વૉલના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ખીજડીયા ગામમાં આવેલ જય અંબે મેલડીમાંના સ્થાન પર રૂ.૨ લાખના ખર્ચે પેવરબ્લોકનું કામ, લક્ષ્મણભાઈના ઘરથી મગનભાઇના ઘર સુધી રૂ.૨.૫૦ લાખના ખર્ચે, ટપુભાઈના ઘરથી નરશીભાઈ ભાઈના ઘર સુધી રૂ.૧.૫૦ લાખના ખર્ચે, નવાપરા વિસ્તારમાં રૂ.૩ લાખના ખર્ચે પેવરબ્લોકનું કામ તેમજ સ્મશાનમાં રૂ.૩ લાખના ખર્ચે કમ્પાઉન્ડ વોલનું નિર્માણ કરવામાં આવશે.
આ ખાતમુહૂર્ત પ્રસંગે કૃષિમંત્રીશ્રી એ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસોથી ગુજરાત સરકારની કામગીરીથી ગામડાઓ સુધી વિકાસના ફળ પહોંચ્યા છે. રોડ, રસ્તા,ગટર,પાણી જેવી તમામ સુવિધાઓનો લાભ ગામડાના લોકોને મળી રહ્યો છે. છેવડાના ગામડા સુધી પણ શહેર જેવી તમામ સુવિધાઓ પહોંચે તે દિશામાં સરકાર કામગીરી કરી રહી છે. ખેડૂતો, મહિલાઓ, ગરીબો માટે સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે જેનો લાભ છેક છેવડાના માનવી સુધી પહોંચી રહ્યો છે. ખીજડીયા ગામમાં પેવરબ્લોકનું કામ થવાથી લોકોની સુવિધાઓમાં વધારો થશે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનીયારા, શ્રી રમેશભાઈ મૂંગરા, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી નંદલાલભાઈ, આર. એફ. ઓ. શ્રી દક્ષાબેન,તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી વિઠ્ઠલભાઈ, સરપંચ શ્રી ભગવાનજીભાઈ, આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


