સુરત
સુરતના ભેસ્તાનની પરિણીતા સાથે મકાનને લઈ ચાલતા ઝઘડામાં પડોશીએ મિત્રો સાથે મળી લિંબાયત મીઠીખાડી પૂલ પાસેથી રીક્ષામાં પરિણીતા અને તેના પાંચ વર્ષના પુત્રનું અપહરણ કરી ૨૦ દિવસ સુધી બારડોલીમાં એક મકાનમાં ગોંધીને માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. એટલું જ નહીં, પણ પરિણીતા ઉપર બળાત્કાર ગુજારી ઝગડાનું વેર વાળતા ચર્ચાનો વિષય બન્યો છે. અપહરણકાર અને હવસખોર ભૂખ્યાઓના ચુંગાલમાંથી છૂટેલી પરિણીતાએ ન્યાય માટે લિંબાયત પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભોગ બનનાર પીડિતા ભેસ્તાન આવાસમાં રહે છે. ૨૫ વર્ષની મહિલાનો પાડોશમાં રહેતા યુવક સાથે મકાનને લઈને ઝઘડો ચાલી રહ્યો હતો. જેને લઈને મામલો ડિંડોલી પોલીસમાં પણ પહોચ્યો હતો. દરમિયાન ગત તા ૧૬મી ફેબ્રુઆરીના પરિણીતા તેના પાંચ વર્ષના પુત્ર સાથે લિંબાયત મીઠીખાડી પુલ પાસે પેરુ સાથે સમાધાનની મીટીંગ કરવા માટે ગઈ હતી. તે વખતે પેરુએ તેના મિત્ર શાહરુખ અને સુલતાન સાથે મળીને પરિણીતા અને તેના બાળકનું રીક્ષામાં અપહરણ કરી બારડોલી લઈ ગય હતા. જ્યાં એક રૂમમાં બંને જણાને ગોંધી રાખી માર મારવામાં આવતો હતો.ર્ કેફી પીણું પણ પીવડાવી પેરુએ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.૨૦ દિવસ બાદ આખરે મોકો મળતા પરિણીતા તેના પુત્રને લઈને ભાગવામાં સફળ થઈ હતી. અપરણકર્તાઓના ચુંગાલમાંથી બહાર આવેલી પરિણીતાએ બારડોલી પોલીસમાં ફરિયાદ નોંધાવતા બનાવ સુરત સિટીમાં લિંબાયતની હદમાં બન્યો હોવાથી ઝીરો નંબરથી ફરિયાદને લિંબાયત પોલીસને મોકલી અપાઈ હતી. લિંબાયત પોલીસે ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.


