સુરેન્દ્રનગર
રાજ્યમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે આ ચૂંટણીને લઇ વિવિધ સમાજ પોતાની તાકાત દેખાડવા સંમેલનો યોજી રહ્યા છે. જેમાં આગેવાનો પણ શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે પુર્વ સાંસદ દેવજી ફતેપરાએ સુરેન્દ્રનગર સર્કિટ હાઉસમાં કોળી સમાજના આગેવાનો સાથે બેઠકો કરી આગામી સમયમાં સંગઠન ઉભુ કરવાની વાતો કરી હતી. થાન તાલુકાના અભેપર ગામે જેજરીયા પરીવારના માતાજીના માંડવા પ્રસંગે કોળી અને પટેલ સમાજના આગેવાનોએ શક્તિ પ્રદર્શન કર્યુ હતું. જેમાં જિલ્લાના પુર્વ પ્રભારી કુંવરજી બાવળીયા અને પૂર્વ ધારાસભ્ય શામજી ચૌહાણ સાથે રહ્યાં હતા. સમાજમાં કોઇના કહેવાથી બટાઇ ન જવા ઉપસ્થિત આગેવાનોને જણાવાયું હતું. કોળી સમાજ શુન્યમાંથી સર્જન કરી રોજીરોટી રળી શકે છે. માટે અભ્યાસ પર અને વ્યસન મુક્ત રહેવા હાજર સૌને આહવાન કરાયું હતું. આમ કૂંવરજી બાવળીયા અને પુર્વ ધારાસભ્ય શામજી ચૌહાણે પણ પોતાની હાજરી દર્શાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં કોળી સમાજની વસ્તી વધુ હોવાથી મતોનું પ્રભુત્વ દરેક ચૂંટણીમાં રહે છે. ત્યારે હાલ કોળી સમાજના આગેવાનો સમાજના લોકોને રીઝવવા કવાયત હાથ ધરી હોય તેમ જણાઇ રહ્યુ છે. થાનના અભેપર ગામે માતાજીના માંડવામાં કોળી સમાજના આગેવાનો અને લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના અભેપર ગામમાં માતાજીના માંડવાનું આયોજન કરાયુ હતું. જેમાં જિલ્લાભરમાંથી કોળી સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગમાં પૂર્વ જિલ્લા પ્રભારી કૂંવરજી બાવળીયાએ ઉપસ્થિત રહી સમાજને એકતા જાળવવા જણાવ્યું હતું. જ્યારે વ્યસનને જાકારો આપી શિક્ષણનો વ્યાપ વધારવા આહવાન કરાયુ હતું.
