સુરેન્દ્રનગર
હળવદ તાલુકામાં હાહાકાર મચાવનાર માસૂમ બાળકીને કચડી નાખવાની ઘટનામાં ગઈકાલે કેન્દ્રીય મંત્રીની દરમિયાનગીરી બાદ પરિવારજનોએ બાળકીનો મૃતદેહ સ્વીકારી લીધો હતો. આ ઘટનામાં પોલીસે ય્ત્ન-૧૩-છ્-૯૩૧૭ નંબરના ડમ્પર ચાલક વિરૂદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.હળવદ તાલુકાના ઘનશ્યામગઢ નજીક ગઈકાલે શુક્રવારે માસૂમ બાળકીને માતાપિતાની નજર સામે રેતી ભરેલા ડમ્પર ચાલકે કચડી નાખી હતી. જેમાં જ્યાં સુધી ડમ્પર ચાલક અને ડમ્પર ન ઝડપાય, ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇન્કાર કરનારા પરિવારજનો દ્વારા આજે શનિવારે ૨૪ કલાક બાદ કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા અને અન્ય આગેવાનોની મધ્યસ્થી બાદ મૃતદેહ સ્વીકારાયો હતો. સૂત્રો અનુસાર ગઈકાલે ગુરૂવારના બપોરના બે વાગ્યાની આસપાસ ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર ગામના દંપતિ અને તેમના ત્રણ બાળકો સાથે હળવદ તાલુકાના અજીતગઢ ગામેથી રાવળીયાવદર પરત જઈ રહ્યા હતા. તે વેળાએ ઘનશ્યામગઢ ગામ નજીક ડમ્પર ચાલકે પાછળથી ટક્કર મારતા બાઈકમાં સવાર સાત વર્ષની માસૂમ દીકરીનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ચારને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. આ બનાવ બાદ ડમ્પર ચાલક અને ડમ્પરને ઝડપી લઇ આકરી કાર્યવાહી કરવાની માંગ સાથે પરિવારજનો, રાવળીયાવદર ગામના સરપંચ રતનસિંહ ઠાકોર તેમજ ઠાકોર સમાજના આગેવાનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો. જાે કે કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા, ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઇ સિહોરા, જિલ્લા પંચાયતના સદસ્ય પપ્પુભાઈ ઠાકોર, ભરતભાઈ રાઠોડ સહિતના આગેવાનો હળવદ સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. તેમજ ડમ્પર અને તેના ચાલક સામે યોગ્ય કાર્યવાહી કરવાની જરૂરી વિભાગને સુચનાઓ આપી મધ્યસ્થી કરતા આખરે પરિવારજનોએ બાળકીનો મૃતદેહ સ્વીકારી લીધો હતો. નોંધનીય છે કે હાલમાં ડમ્પર ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
