ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર, જામનગર દ્વારા સાંઇ વિદ્યાલય, જોડિયા ખાતે તાલુકા સ્તરીય રમત-ગમત કાર્યક્રમનું આયોજન ખાતે કરવામાં આવ્યું હતું. જિલ્લા યુવા અધિકારીશ્રીના હસ્તે દીપપ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. રમત-ગમત કાર્યક્રમમાં ૧૫૦થી વધુ ખેલાડીઓએ કબડ્ડી, ખો-ખો,વોલીબોલ, રસા-ખેંચ તેમજ એથ્લીટેકિસ જેવી વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિજેતા ખેલાડીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા હતા. આ સ્પર્ધામાં વિજેતા બનેલા ખેલાડીઓને જિલ્લા સ્તરીય કાર્યક્રમમાં ભાગ લેવાનો મોકો પ્રાપ્ત થશે.
કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધરમશીભાઈ ચનીયારા અને જોડિયા તાલુકા મામલતદારશ્રી વિજયભાઈ સી. ડાભી ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમનું આયોજન ઉડાન યુથ ક્લબના પ્રમુખશ્રી નરોત્તમભાઈ વઘોરા અને નેહરુ યુવા કેન્દ્રના રાષ્ટ્રીય સ્વયંસેવકશ્રી રાજેશભાઈ વઘોરા દ્વારા કરાયું હતું. કાર્યક્રમનું સંચાલન નેહરુ યુવા કેન્દ્ર, જામનગરના જિલ્લા યુવા અધિકારીશ્રી શિખર રસ્તોગી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા સાંઈ વિદ્યાલયના ટ્રસ્ટ્રીશ્રી જગદીશભાઈ તેમજ શાળાના શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.


