જમ્મુકાશ્મીર
સુરક્ષાદળો હાલ આતંકીઓનો કાળ બની બેઠા છે. ઓપરેશન ઓલઆઉટથી આતંકી સંગઠનોની કમર તૂટી છે. સીધો સામનો કરી ન શકતા આતંકીઓ હવે નિર્દોષ નાગરિકોને ટાર્ગેટ કરી રહ્યા છે. તમના નિશાના પર કાશ્મીરી હિન્દુઓ તથા સરકારી ડ્યૂટી કરતા પોલીસકર્મીઓ, તેમના પરિવારના લોકો અને અન્ય સામાન્ય નાગરિકો છે. પણ હાલ જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓ નિર્દોષ નાગરિકોના સતત ટાર્ગેટ કિલિંગથી દહેશત ફેલાવી રહ્યા છે જેને લઈને સરકાર પણ ભારે ચિંતામાં છે. કાશ્મીર ઘાટીમાં વિવિધ સરકારી વિભાગોમાં ફરજ બજાવતા હિન્દુ કર્મચારીઓને ટાર્ગેટ કિલિંગથી બચાવવા માટે પ્રદેશના એલજી મનોજ સિન્હાએ બુધવારે અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી. જેમાં સેનાના ટોપ ઓફિસર, પોલીસ અને વહિવટીતંત્રના અધિકારીઓ સામેલ થયા. બેઠકમાં કાશ્મીરી હિન્દુઓને બચાવવા માટે મોટો ર્નિણય લેવાયો. સૂત્રોના જણાવ્યાં મુજબ પીએમ પેકેજ હેઠળ સરકારી નોકરી કરવા માટે કાશ્મીર ઘાટીમાં પાછા ફરેલા હિન્દુઓને ટાર્ગેટ કિલિંગથી બચાવવા માટે તેમની તૈનાતી હવે જિલ્લા મુખ્યાલયો પર કરાશે. અહીં તે કર્મચારીઓની સુરક્ષાની પૂરતી વ્યવસ્થા પણ કરાશે. આ સાથે જ તેમના રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે અને એકદમ ફૂલપ્રૂફ સુરક્ષા વ્યવસ્થા અપાશે. આવા હિન્દુ કર્મચારીઓને હવે તસહીલો કે રિમોટ એરિયાની ડ્યૂટીમાંથી હટાવી દેવાશે. મહત્વની બેઠકમાં ર્નિણય લેવાયો કે કાશ્મીર ઘાટીમાં કામ કરતા કાશ્મીરી હિન્દુઓને જમ્મુ રિલોકેટ કરવાની માંગણી સ્વીકારાશે નહીં. કારણ કે જાે આમ કરવામાં આવે તો તેનાથી પ્રદેશમાં સાંપ્રદાયિક ધ્રુવિકરણ વધુ ઝડપી થશે. આ સાથે જ આતંકીઓનું મનોબળ પણ પહેલા કરતા વધશે અને તેઓ અન્ય ભાગમાં પણ આવી જ હિંસક ગતિવિધિઓને અંજામ આપશે. જાે કે વિશેષ પરિસ્થિતિઓમાં કેટલાક કાશ્મીરી હિન્દુઓને જમ્મુ ટ્રાન્સફર કરવા પર વિચાર થઈ શકે છે. બીજી બાજુ સુરક્ષાદળોનું કહેવું છે કે આ ઘટનાઓ પાછળ હાઈબ્રિડ આતંકીઓનો હાથ છે જે વિદ્યાર્થીઓ, મજૂરો, શિક્ષકો કે વેપારી તરીકે દેખાતા હોય છે પરંતુ તક મળતા જ બંદૂક કાઢીને ગોળી મારી દે છે. સામાન્ય નાગરિકોના વેષમાં ફરતા આ આતંકીઓ પર લગામ કસવી એ સરકાર માટે મોટો પડકાર બનેલો છે.