છોટાઉદેપુર
છોટાઉદેપુરથી વહેલી સવારે અલીરાજપુર જતી ખાનગી બસ આજે વહેલી સવારે ચાંદપુર પાસે રેલિંગ તોડીને નદીમાં ૧૫ ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી. જેમાં એક વર્ષની ઉંમરના એક બાળક સહિત ૩ લોકોના મોત થયા હતા. જ્યારે ૨૮ લોકોના ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે અલીરાજપુરની હોસ્પિટલમાં લઈ જવાયા છે. ઘટનાની જાણ થતા જ અલીરાજપુરના કલેક્ટર મનોજ પુષ્પ તેમજ એસપી મનોજકુમાર સિંહ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ખાનગી બસ ભૂજથી મધ્યપ્રદેશના બડવાની થઇ રહી હોવાની માહિતી મળી છે. અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે દોડી ગયા હતા અને સ્થાનિક તંત્ર દ્વારા ૩ જેસીબીની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું અને ખાનગી બસને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ સ્થળ પર દોડી ગઇ હતી અને આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આજે વહેલી સવારે ૫ઃ૪૫ વાગ્યે છોટાઉદેપુરથી અલીરાજપુર તરફ જઇ રહેલી બસ નં-ય્ત્ન-૦૧-ઝ્રઢ-૬૩૦૬ના ડ્રાઇવરને ઝોકુ આવતા બસ મેલખોદરા નદીના બ્રિજ પરથી નદીમાં ખાબકી હતી. ઘટનાની જાણ થતાં અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આસપાસના લોકોની મદદથી રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. બસમાંથી ૩૯ લોકોને રેસ્ક્યૂ કર્યાં હતા. જે પૈકી ૨૮ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે ૩ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુન્સ મારફતે અલીરાજપુર જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
