મુંબઈ
દિવંગત અભિનેતા પ્રાણનો જન્મ ૧૯૨૦માં જૂની દિલ્હીના બલ્લીમારન વિસ્તારમાં સ્થાયી થયેલા એક ઉમદા પરિવારમાં થયો હતો. હિન્દી સિનેમા જગતમાં પ્રવેશતા પહેલા અભિનેતાએ ૧૯૪૦માં આવેલી પંજાબી ફિલ્મ ‘યમલા જટ્ટ’માં પોતાના અભિનયનો જાદુ ફેલાવ્યો હતો. ૧૯૪૨માં બોલિવૂડમાં પદાર્પણ કર્યાના માત્ર પાંચ વર્ષની અંદર એટલે કે ૧૯૪૭ સુધી તેણે લગભગ ૨૨ ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવી હતી. બોલિવૂડમાં ડેબ્યુ કરતા પહેલા તે પોતાનું ઘર ચલાવવા માટે મુંબઈના મરીન ડ્રાઈવ સ્થિત હોટલમાં કામ કરતો હતો. આઠ મહિના સુધી તેમનો સંઘર્ષ ચાલુ રહ્યો. એક દિવસ પાનની દુકાન પર ઊભેલા પ્રાણ પર પંજાબી ફિલ્મોના લેખક મોહમ્મદ વલીની નજર પડી. પ્રાણને જાેઈને તેણે તેની આગામી ફિલ્મ યમલા જટ્ટ માટે તેને પસંદ કર્યો. અહીંથી પ્રાણનું નસીબ ચમક્યું. તેને એક પછી એક ફિલ્મો મળવા લાગી. કહેવાય છે કે પ્રાણએ જંજીર ફિલ્મ માટે અમિતાભ બચ્ચનનું નામ આપ્યું હતું. ૧૯૪૭માં થયેલા વિભાજનને કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ઘણી અસર થઈ હતી. ભાગલા વખતે ઘણા લોકો પાકિસ્તાનમાં સ્થળાંતર કરી ગયા. આવી સ્થિતિમાં પ્રાણે ફરી પોતાની ફિલ્મી સફર શરૂ કરવાનું નક્કી કર્યું અને વર્ષ ૧૯૪૮માં દેવઆનંદની ફિલ્મ ઝિદ્દીમાં કામ કર્યું. આ ફિલ્મ માટે લેખક સઆદત હસન મંટોએ તેમની ભલામણ કરી હોવાનું કહેવાય છે. બસ આ ફિલ્મ પછી એક્ટર પ્રાણ એ પાછું વળીને જાેયું નથી. વર્ષ ૨૦૦૧માં તેમને પદ્મ ભૂષણ અને દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સિવાય ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને દર્શકોએ દિવંગત અભિનેતા પ્રાણને વિલન ઓફ ધ મિલેનિયમના બિરુદથી સન્માનિત કર્યા હતા.બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ફેમસ એક્ટરનું પૂરું નામ પ્રાણ કિશન સિકંદ હતું. ૧૯૪૨થી અભિનય કારકિર્દી શરૂ કરનાર પ્રાણે ૩૫૦ થી વધુ ફિલ્મો કરી છે. તેણે જીસ દેશ મેં ગંગા બહેતી હૈ, ઉપકાર, શહીદ, પુરબ ઔર પશ્ચિમ, રામ ઔર શ્યામ, ઝંજીર, ડોન અને અમર અકબર એન્થોની જેવી ફિલ્મોમાં પોતાના દમદાર અભિનયથી દર્શકોના દિલો પર રાજ કર્યું છે. મોટાભાગની ફિલ્મોમાં ખલનાયકનું પાત્ર ભજવનાર પ્રાણે પોતાની ભૂમિકા એવી રીતે નિભાવી હતી કે એક સમયે લોકોએ તેમના બાળકનું નામ પ્રાણ રાખવાનું પણ છોડી દીધું હતું.


