મુંબઈ
ગયા વર્ષે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન પર ડ્રગ્સ લેવાના આરોપોએ બોલિવૂડમાં ખળભળાટ મચાવ્યો હતો. આ સમાચારની સર્વત્ર ચર્ચા થઈ હતી. ડ્રગ્સના કેસમાં નામ આવ્યા બાદ આર્યન ખાનને મુંબઈની આર્થર રોડ જેલમાં ૨૮ દિવસ પસાર કરવા પડ્યા હતા. મુંબઈથી ગોવા જતા ક્રૂઝ પર જઈ રહેલી ડ્રગ્સ પાર્ટીના મામલામાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા દરોડા પાડીને આર્યન ખાનની ૩ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને આ કેસમાં આર્યન ખાનની અરજી પણ ચાર વખત ફગાવી દેવામાં આવી હતી. ત્યારબાદ તેણે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જ્યાંથી તેને જામીન મળી ગયા હતા. ૨ માર્ચે વિશેષ તપાસ ટીમ-(એસઆઈટી)ના વડા સંજય સિંહે કહ્યુ હતુ કે, કોર્ડેલિયા ક્રૂઝ શિપ ડ્રગ કેસમાં આર્યન ખાન વિરુદ્ધ કોઈ પુરાવા નથી તે કહેવું ઘણું અતિશયોક્તિ હશે.કોર્ડેલિયા ક્રુઝ શિપ ડ્રગ કેસમાં આર્યન ખાન વિરુદ્ધ કોઈ પુરાવા ન હોવાના અહેવાલો સામે આવ્યા પછી શ્રી સિંહનું આ નિવેદન સામે આવ્યુ છે.ડ્રગ્સ કેસના કારણે ચર્ચામાં રહેલ આર્યન ખાને લગભગ આ કેસના સંબંધમાં એક મહિનો જેલમાં વિતાવવાનો વારો આવ્યો હતો. આ કેસ એક વિશાળ રાજકીય વિવાદમાં ફેરવાઈ ગયો હતો અને ડ્રગ્સ વિરોધી એજન્સીની છબી પણ ખરડાઈ હતી. ગેરરીતિના આરોપોનો સામનો કર્યા પછી, એજન્સીએ માત્ર મોટા કેસો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું, સૂત્રોનુ માનીએ તો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એજન્સી નવી નીતિ લાવે તેવી શક્યતા છે, જેમાં ડ્રગ્સની નાની માત્રાની રિકવરી સંબંધિત માહિતી સ્થાનિક પોલીસને આપવામાં આવશે.નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ મુંબઈ ડ્રગ્સ-ઓન-ક્રુઝ કેસમાં ચાર્જશીટ દાખલ કરવા માટે વધુ ૯૦ દિવસનો સમય માંગ્યો છે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મ સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ૧૯ અન્ય લોકો સાથે ધરપકડ કરવામાં આવી હતી, જે કેસમાં ડ્રગ્સ વિરોધી એજન્સીએ ૨ એપ્રિલ સુધીમાં ચાર્જશીટ દાખલ કરવાની હતી.પરંતુ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમએ મુંબઈ સેશન્સ કોર્ટને એક્સટેન્શન માટે વિનંતી કરી છે.
