મુંબઇ
ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથ વચ્ચે શિવસેનાના નામ અને ચૂંટણી ચિહ્નને લઈને ખેંચતાણ ચાલી રહી છે. આ દરમિયાન ચૂંટણી પંચે શિવસેનાનું નામ અને તેનું ચૂંટણી ચિહ્ન ‘ધનુષ-બાણ’ ફ્રીઝ કરી દીધા. ત્યારબાદ શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથે મુંબઈના અંધેરી પૂર્વ બેઠકની પેટા ચૂંટણી માટે પાર્ટીના ત્રણ નામ અને ચૂંટણી ચિહ્નની યાદી આપી છે. ઉદ્ધવ ઠાકરે જૂથની પાર્ટીના નામ માટે ‘શિવસેના બાળાસાહેબ ઠાકરે’ પ્રથમ પસંદગી છે, જ્યારે ‘શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે’ દ્વિતીય પસંદગી છે, જ્યારે ત્રીજાનું ‘શિવસેના બાળાસાહેબ પ્રોબધંકર ઠાકરે’ આપ્યું છે. જ્યારે ચૂંટણી ચિહ્ન માટે પ્રથમ પસંદગી ‘ત્રિશૂલ’ અને ‘ઉગતો સૂર્ય’ દ્વિતીય પસંદગી રાખી છે. જ્યારે ત્રીજી પસંદગી ‘મશાલ’ની છે. આ માહિતી શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતે આપી છે. નોંધવા જેવી બાબત એ છે કે પેટા ચૂંટણી માટે ઉધ્ધવ ઠાકરે જૂથે સૂચવેલા ત્રણેય નામમાં બાળા સાહેબ ઠાકરેના નામનો ઉપયોગ કર્યો છે. શિવસેનાને વર્ષ ૧૯૮૯માં કાયમી ચૂંટણી ચિહ્ન ‘ધનુષ-બાણ’ મળ્યું હતું, આ પહેલાં ‘તલવાર અને ઢાલ’, ‘નારિયેળનું વૃક્ષ’, ‘રેલવે એન્જિન’ તથા ‘કપ-રકાબી’ જેવા ચૂંટણી ચિહ્ન સાથે પણ શિવસેના ચૂંટણી લડી ચૂકી છે.શિવસેનાના બંને જૂથો દ્વારા નામ અને ચૂંટણી ચિહ્ન પર દાવો કરવાની પૃષ્ઠભૂમિમાં એક વચગાળાનો આદેશ જાહેર કરીને ચૂંટણી પંચે બંને જૂથને કહ્યું કે એ સોમવાર સુધી પોત-પોતાની પાર્ટી માટે ત્રણ-ત્રણ નામ અને ચુંટણી ચિહ્નની યાદી આપે.


