મહારાષ્ટ્ર
રાજ્યસભાની ૧૬ બેઠકો મા મહારાષ્ટ્રની ૬ બેઠકો પણ સામેલ છે. અહીંની ૬ બેઠકો માટે સાત ઉમેદવારો મેદાનમાં છે. જેના કારણે કોકડું ગૂંચવાયેલું છે. આ દરમિયાન અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એ.(આઈએમ.આઈ.એમ)એ એક મોટો ર્નિણય લઈને બધાને ચોંકાવી દીધા છે. મહારાષ્ટ્રના અધ્યક્ષ ઈમ્તિયાઝ ઝલીલે કહ્યું કે ભાજપને હરાવવા માટે અમારી પાર્ટી (એ.આઈએમ.આઈ.એમ)એ મહારાષ્ટ્રમાં રાજ્યસભાની ચૂંટણીમાં મહાવિકાસ આઘાડીને મત આપવાનો ર્નિણય કર્યો છે. અમારા ૨ (એ.આઈએમ.આઈ.એમ) મહારાષ્ટ્ર વિધાયકોને કોંગ્રેસ ઉમેદવાર ઈમરાન પ્રતાપગઢીને મત આપવાનું કહેવાયું છે. મહારાષ્ટ્રમાં રાજ્યસભાની ૬ બેઠકો માટે ૭ ઉમેદવારોમાં કાંટાની ટક્કર છે. ભાજપે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, અનિલ બોન્ડે અને ધનંજય મહાદિકને ઉમેદવાર બનાવ્યા છે. એનસીપીએ પ્રફૂલ્લ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. શિવસેનાએ સંજય રાઉત અને સંજય પવાર પર દાવ લગાવ્યો છે જ્યારે કોંગ્રેસે ઈમરાન પ્રતાપગઢીને ઉમેદવાર બનાવ્યા છે. મહારાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે પાર્ટીના ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. ફડણવીસે બેઠકમાં વિધાયકોને સલાહ આપી હતી કે ભૂલેચૂકે પણ તેમનો મત અમાન્ય ન ગણાય તે સુનિશ્ચિત કરવું. તેમણે કહ્યું કે રાજ્યસભા માટે મતદાન કેવી રીતે કરવું તેના નિર્દેશ તમને અપાયા છે. ‘તમારે એ સુનિશ્ચિત કરવું પડશે કે કોઈ પણ ભૂલને કારણે તમારો મત બગડે નહીં.’ મહારાષ્ટ્ર વિધાનસભાનું ગણિત જાેઈએ તો ભાજપ પાસે બે બેઠકો જીતવા માટે પૂરતા મત છે. જ્યારે શિવસેના, એનસીપી અને કોંગ્રેસ એક-એક મત મેળવી શકે છે. રાજ્યની (મહાવિકાસ આઘાડી) સરકારમાં સામેલ શિવસેના (૫૫), એનસીપી (૫૨) અને કોંગ્રેસ (૪૪) મળીને શિવસેનાના બીજા ઉમેદવારની જીત સુનિશ્ચિત કરી શકે છે. એનસીપીના બે વિધાયક અનિલ દેશમુખ અને નવાબ મલિક જેલમાં છે, જ્યારે ૨૮૮ સભ્યોવાળા ગૃહની એક બેઠક ખાલી છે. ચાર મુખ્ય દળો ઉપરાંત મહારાષ્ટ્ર વિધાનસભામાં ૨૫ અપક્ષ અને નાના પક્ષોના વિધાયકો પણ છે.


