મુંબઈ
સાઉથના જાણિતા એક્ટર, પૂર્વ કેન્દ્રીય મંત્રી યૂ.વી. કૃષ્ણમ રાજૂનું નિધન થઇ ગયું છે. કૃષ્ણ રાજૂને ટોલીવુડમાં રેબલ સ્ટાર પણ કહેવામાં આવતા હતા. ૮૨ વર્ષના દિવંગત એક્ટરે રવિવારે સવારે ૩ઃ૪૫ મિનિટે અંતિમ શ્વાસ લીધા હતા. આ પહેલાં શનિવારે રાત્રે તેમની તબિયત બગડી હતી. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. કૃષ્ણમ રાજૂ પ્રભાસના કાકા હતા. સોશિયલ મીડિયા પર સાઉથ ફિલ્મ ઇંડસ્ટ્રીના એક્ટર, ડાયરેક્ટર અને ફેન્સ કૃષ્ણ રાજૂને પોતાની શ્રદ્ધાંજલી આપી રહ્યા છે. આ સાથે જ દુખની આ ઘડીમાં પ્રભાસ અને તેમના પરિવાર સાથે ઉભા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીઢ તેલુગુ સિનેમેટિક વ્યક્તિત્વ યુવી કૃષ્ણમ રાજુ ગારુના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને લખ્યું છે કે “યુવી કૃષ્ણમ રાજુ ગારુના નિધનથી દુઃખી છું. આવનારી પેઢીઓ તેમની સિનેમેટિક દીપ્તિ અને સર્જનાત્મકતાને યાદ કરશે. તેઓ સમુદાય સેવામાં પણ અગ્રેસર હતા અને રાજકીય નેતા તરીકેની છાપ ઊભી કરી હતી. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.” કૃષ્ણમ રાજૂનો જન્મ ૨૦ જાન્યુઆરી ૧૯૪૦ ના રોજ થયો હતો. કેરિયરની શરૂઆતમાં કૃષ્ણમ રાજૂ પત્રકાર હતા. ટોલીવુડમાં વર્ષ ૧૯૬૬ માં આવેલી ફિલ્મ ચિલાકા ગોરનિકાથી તેમણે એક્ટિંગમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મને સાઉથની પ્રતિષ્ઠિત નંદી એવોર્ડ પણ મળ્યો હતો. ત્યારબાદ તે એનટી રામા રાવની સાથે પૌરાણિક ફિલ્મ શ્રી કૃષ્ણાવતરમમાં જાેવા મળ્યા હતા. તેમણે સાઉથ ફિલ્મોના બે દિગ્ગજ એક્ટર એનટી રામા રાવ અને અક્કિનેની નાગશ્વર રાવ સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. ૭૦ અને ૮૦ ના દાયકામાં કૃષ્ણમ રાજૂઈ ઘણી મોટી બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ કર્યું પોતાના લગભગ ૫૦ વર્ષના કેરિયરમાં કૃષ્ણમ રાજૂએ લગભગ ૧૮૩ ફિલ્મોમાં કામ કર્યું હતું. કૃષ્ણમ રાજૂ છેલ્લે પોતાના ભત્રીજા પ્રભાસ અને પૂજા હેગડેની ફિલ્મ રાધે શ્યામમાં જાેવા મળ્યા હતા.


