મુંબઇ
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની આતંકવાદ વિરોધી સમિતિની બેઠકના પ્રથમ દિવસનું આયોજન ૨૮ ઓક્ટોબરે ભારત મુંબઇની તાજ પેલેસ હોટલમાં કરશે. ઉલ્લેખનીય છે કે ૧૪ વર્ષ પહેલા દેશમાં ૨૬/૧૧ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં મુંબઈની તાજ પેલેસ હોટલમાં ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે યુએનની સર્વોચ્ચ સમિતિની બેઠક ૨૯ ઓક્ટોબરે દિલ્હીમાં યોજાવાની છે. તાજ પેલેસ હોટલમાં પ્રથમ દિવસની બેઠક યોજવાને આતંકવાદનો સામનો કરવા માટે ભારતના મજબૂત અભિગમ તરીકે જાેવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે ૨૬ નવેમ્બર ૨૦૦૮ ના રોજ, ૧૦ પાકિસ્તાની આતંકવાદીઓનું એક જૂથ ભારતમાં પ્રવેશ્યું અને મુંબઈના એક રેલ્વે સ્ટેશન, બે મોટી હોટેલ્સ (તાજ પેલેસ અને ટ્રાઈડેન્ટ હોટેલ) અને એક યહૂદી કેન્દ્ર પર હુમલો કર્યો. આ આતંકવાદીઓ કરાચીથી અરબી સમુદ્ર થઈને મુંબઈમાં પ્રવેશ્યા હતા. મુંબઈમાં ૨૬/૧૧ ના હુમલાએ ૬૦ કલાક લાંબી ઘટનામાં ૧૬૦ થી વધુ લોકો માર્યા ગયા અને ભારત-પાકિસ્તાનને યુદ્ધના આરે લાવ્યા. પેનલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે યુએન સુરક્ષા પરિષદની આતંકવાદ વિરોધી સમિતિની વિશેષ બેઠક ૨૮ ઓક્ટોબરે મુંબઈમાં શરૂ થશે અને ૨૯ ઓક્ટોબરથી નવી દિલ્હીમાં ચાલુ રહેશે. બેઠકનો વિષય આતંકવાદીઓને લક્ષ્યમાં રાખીને નવી અને ઉભરતી ટેક્નોલોજીનો સામનો કરવાના માર્ગો શોધવાનો’ છે. સમિતિ રાજદ્વારીઓ અને અન્ય સભ્યોને હોસ્ટ કરશે.


