પંજાબ
પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માનની પ્રથમ કેબિનેટ બેઠક ચંદીગઢમાં થઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભગવંત માન કેબિનેટે ૨૫,૦૦૦ પદોની તાત્કાલિક ભરતીને મંજૂરી આપી છે. પંજાબના બોર્ડ, કોર્પોરેશન અને સરકારી કચેરીઓમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવશે. કેબિનેટે ત્રણ મહિનાનો વોટ ઓન એકાઉન્ટ લેવાનો ર્નિણય કર્યો છે. જૂન મહિનામાં બજેટ રજૂ કરવામાં આવશે. કેબિનેટે પૂરક અનુદાનને પણ મંજૂરી આપી છે. મુખ્યપ્રધાન ભગવંત માનની આગેવાની હેઠળની કેબિનેટમાં એક મહિલા સહિત ૧૦ આમ આદમી પાર્ટી ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે પંજાબ ભવનમાં મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ ૧૦ મંત્રીઓમાંથી ૮ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે. તમામે પંજાબી ભાષામાં શપથ લીધા હતા. હરપાલ સિંહ ચીમા, હરભજન સિંહ, ડૉ. વિજય સિંગલા, લાલ ચંદ, ગુરમીત સિંહ મીત હેર, કુલદીપ સિંહ ધાલીવાલ, લાલજીત સિંહ ભુલ્લર, બ્રહ્મ શંકર ઝિમ્પા, હરજાેત સિંહ બૅન્સ અને ડૉ. બલજીત કૌરને શપથ લેવડાવ્યા હતા. કેબિનેટમાં મુખ્યમંત્રી સહિત ૧૮ પદો છે. પંજાબના રાજ્યપાલે બુધવારે સ્વાતંત્ર્ય સેનાની ભગત સિંહના મૂળ ગામ ખટકર કલાન ખાતે ભગવંત માનને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. આમ આદમી પાર્ટીએ ૧૧૭ સભ્યોની પંજાબ વિધાનસભામાં કોંગ્રેસ, શિરોમણી અકાલી દળ-બહુજન સમાજ પાર્ટી ગઠબંધન અને ભારતીય જનતા પાર્ટી-પંજાબ લોક કોંગ્રેસ-શિરોમણી અકાલી દળને હરાવીને ૯૨ બેઠકો જીતી હતી. કુલતાર સિંહ સંધવાન પંજાબ વિધાનસભાના સ્પીકર રહેશે. તેઓ આમ આદમી પાર્ટીની ટિકિટ પરથી બીજી વખત ધારાસભ્ય બન્યા છે. અગાઉ, પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન અને નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ ગુરુવારે અહીં ૧૬મી પંજાબ વિધાનસભાના સભ્યો તરીકે શપથ લીધા હતા. રાજ્ય વિધાનસભાનું પ્રથમ સત્ર ગુરુવારથી જ શરૂ થઈ ગયું છે. ઇન્દરબીર સિંહ નિજ્જર, ‘પ્રોટેમ સ્પીકર’ એ નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવ્યા, જેમાંથી મોટાભાગના પ્રથમ વખત ધારાસભ્યો છે. આ વખતની વિધાનસભા ચૂંટણીમાં, આમ આદમી પાર્ટીને ૧૧૭ સભ્યોની વિધાનસભામાં કુલ ૯૨ બેઠકો મળી છે. રાજ્યના ઈતિહાસમાં આવું પ્રથમ વખત બન્યું છે જ્યારે કોઈ એક પક્ષ ૯૨ બેઠકો જીતવામાં સફળ રહ્યો હોય.
