પંજાબ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે દિવંગત પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાના પરિવાર સાથે મુલાકાત કરવા માટે તેના પૈતૃક ગામ માણસાના મૂસા ખાતે પહોંચ્યા. મૂસેવાલાના પરિજનોની સાથે મુલાકાત કરીને રાહુલ ગાંધીએ સિંગરની હત્યા પર દુઃખ વ્યક્ત કર્યું. સિદ્ધુ મૂસેવાલાના પરિવાર સાથે મુલાકાત બાદ રાહુલ ગાંધીએ એક ટ્વીટ પણ કરી. તેમણે લખ્યું કે કોંગ્રેસ નેતા સિદ્ધુ મૂસેવાલાના માતા પિતા જે દુઃખમાંથી પસાર થઈ રહ્યા છે તેને વર્ણવું મુશ્કેલ છે. તેમને ન્યાય અપાવવો અમારી ફરજ છે અને અમે અપાવીને રહીશું. તેમણે વધુમાં કહ્યું કે રાજ્યની કાયદો વ્યવસ્થા સંપૂર્ણ રીતે ભંગ થઈ ચૂકી છે. પંજાબમાં અમન અને શાંતિ જાળવી રાખવી એ આમ આદમી પાર્ટીની સરકારના બસની વાત નથી. હાલમાં જ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ સિદ્ધુ મૂસેવાલાના ઘરે જઈને પરિજનો સાથે મુલાકાત કરી હતી. તેમણે મૂસેવાલાના પિતાને ન્યાય અપાવવાનો ભરોસો જતાવ્યો હતો. ભગવંત માને કહ્યું હતું કે અપરાધીઓની ધરપકડ ચાલુ છે. જે પણ દોષિત હશે તેમને કડક સજા મળશે. બીજી બાજુ સિદ્ધુ મૂસેવાલાના માતા પિતા હાલમાં જ ચંડીગઢમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ મળ્યા હતા. તેમણે અમિત શાહ પાસે ગુહાર લગાવી અને સીબીઆઈ તપાસની માંગણી કરી હતી. હાલ મૂસેવાલા હત્યાકાંડની તપાસ પંજાબ પોીલસની એસઆઈટી કરી રહી છે. જાણીતા પંજાબી સિંગર અને કોંગ્રેસના નેતા સિદ્ધુ મૂસેવાલાની ૨૯મીના રોજ ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. આ હત્યાકાંડમાં ૮ ફરાર લોકોની ઓળખ થઈ ચૂકી છે. અનેક રાજ્યોની પોલીસ આ હત્યાકાંડ મામલે આરોપીઓને દબોચવા માટે સક્રિય છે. સિદ્ધુ મૂસેવાલા આ વર્ષે ફેબ્રુઆરીમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પરથી માણસાથી ચૂંટણી લડ્યો હતો. પણ હારનો સામનો કરવો પડ્યો હતો.
