લખ્નૌઉ
ઉત્તર પ્રદેશમાં જાણે ઉદ્યોગપતિઓએ રોકાણ માટે ખજાનો ખોલી નાખ્યો હોય તેવું જણાય છે. ઈન્દિરા ગાંધી પ્રતિષ્ઠાનમાં ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમની થ્રી દરમિયાન કુમાર મંગલમ બિરલા, ગૌતમ અદાણી, નિરંજન હીરાનંદાની સહિત અનેક ઉદ્યોગપતિઓએ રોકાણ સંદર્ભે મહત્વની જાહેરાતો કરી. જેના કારણે રોજગારીની પણ મોટી તકો ઊભી થવાની શક્યતા છે. ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ જાહેરાત કરી કે તેઓ યુપીમાં આવનારા સમયમાં ૭૦,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ રોકાણથી લગભગ ૩૦,૦૦૦ જેટલી નોકરીની તકો ઊભી થશે. ૨૪ હજાર કરોડ રોડ અને ટ્રાન્સપોર્ટ, ૩૦ હજાર કરોડ મલ્ટિલેવલ લોજિસ્ટિક અને ડિફેન્સ સેક્ટરમાં રોકી રહ્યા છીએ. કાનપુરમાં ડિફેન્સ સેક્ટરમાં સૌથી વધુ રોકાણ કરાશે. આ અવસરે ગૌતમ અદાણીએ કહ્યું કે મારું સૌભાગ્ય છે કે આજે મને બે મહાન નેતાઓ (પીએમ મોદી, સીએમ યોગી)ને મળવાની તક મળી જેઓ ભારતને નવું ભારત બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. અદાણી સમૂહના ચેરમેન અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પીએમ મોદીના વખાણ કરતા કહ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ તમે રાજ્યનો વિકાસ કર્યો ત્યારબાદ દેશના પીએમ બન્યા અને તમે તે ગુજરાત મોડલ દેશભરમાં લાગૂ કર્યું. સીએમ યોગીની પણ પ્રશંસા કરતા કહ્યું કે યુપી માટે તમારું વિઝન, તમારી અનુશાસિત જીવનશૈલી, કામ પ્રત્યે નિષ્ઠા, સર્વાંગી વિકાસ તરફ ઝૂકાવ એ પ્રેરણાદાયી છે. તમે યુપીમાં કાયદા વ્યવસ્થામાં સુધાર લાવીને ગુડ ગવર્નન્સની મિસાલ કાયમ કરી. તેનાથી આજે યુપી પ્રોગ્રામ ઈમ્પ્લિમેન્ટેશનમાં પહેલા નંબરે પહોચ્યું છે. અમે આટલા બધા રાજ્યોમાં કામ કરીએ છીએ પરંતુ અમને લાગે છે કે યુપીના ગવર્નન્સમાં ર્નિણય લેવાની ક્ષમતા અભૂતપૂર્વ છે. તેમણે એમ પણ કહ્યું કે તમારું વિઝન પીએમના નેશન બિલ્ડિંગ સાથે જે પ્રકારે મેળ ખાય છે તે અન્ય રાજ્યો માટે મિસાલ બન્યું છે. આજનું યુપી જ આવતી કાલના દેશનું સ્વરૂપ નક્કી કરશે. ગૌતમ અદાણી ઉપરાંત આદિત્ય બિરલા ગ્રુપના અધ્યક્ષ કુમાર મંગલમ બિરલાએ પણ મોટી જાહેરાત કરતા કહ્યું કે પ્રદેશમાં ૪૦ હજાર કરોડ રૂપિયાનું રોકાણ થશે. જેની કરીને ૩૫ હજાર લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારીની તકો ઊભી થશે. તેમણે કહ્યું કે યુપી આજે રોકાણ માટે સૌથી મહત્વનું ડેસ્ટિનેશન બની ગયું છે. યુપીએ રોકાણ ક્ષેત્ર હરણફાળ ભરી છે. રોકાણ મિત્રના માધ્યમથી સિંગલ વિન્ડો સિસ્ટમ લાગૂ થવાથી રોકાણ માટે ખુબ મદદ મળી. સીએમ યોગીના નેતૃત્વમાં યુપી આગળ વધી રહ્યું છે અને પીએમ મોદીના નિર્દેશનમાં તે સશક્ત બની રહ્યું છે. અન્ય રાજ્યો માટે તે ઉદાહરણ બન્યું છે. જાણીતા હીરાનંદાની ગ્રુપના એમડી નિરંજન હીરાનંદાનીએ પણ મહત્વની જાહેરાત કરતા કહ્યું કે અમે અમારા ડેટા સેન્ટરને સંદર્ભે યુપીમાં દર વર્ષે એક હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરીશું. તેમણે એમ પણ કહ્યું કે યુપી બુલેટ ટ્રેનની ઝડપથી આગળ વધી રહ્યું છે. સ્પીડ ઓફ બિઝનેસ ખુબ ઝડપી છે. હું ૪૦ વર્ષથી બાંધકામ વ્યવસાયમાં છું પરંતુ આટલો બદલાવ મે ક્યારેય જાેયો નથી.



