મૈનપુરી
ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં ગણેશ પંડાલમાં નાચતા નાચતા જ એક કલાકારનું મોત નીપજ્યું છે. આ ઘટના સમયે મોટા પ્રમાણમાં લોકો અહીં ઉપસ્થિત હતા. હનુમાનનો વેશ ધારણ કરીને આવેલો કલાકાર અચાનક સ્ટેજ પર પડી ગયો. લોકોને લાગ્યું કે તે અભિનય કરી રહ્યો છે. થોડીવાર સુધી તેના શરીરમાં કોઈ હલનચલન ન થતા લોકોએ નજીક જઈને તપાસ કરી હતી. ત્યારે ફટાફટ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ગણેશોત્સવને લીધે આખા દેશમાં ઉજવણીનો માહોલ છે. ત્યારે મૈનપુરી કોતવાલી ક્ષેત્રમાં બંશીગૌરાના એક શિવમંદિરમાં પણ ગણેશજીની પ્રતિમા મૂકવામાં આવી છે અને દરરોજ અહીં આરતી-પૂજા સાથે અલગ-અલગ કાર્યક્રમ રાખવામાં આવે છે. શનિવાર સાંજે રાખેલા એક કાર્યક્રમમાં ભજન મંડળીને બોલાવવામાં આવી હતી. ભજન મંડળીમાં રવિ શર્મા નામનો કલાકાર પણ હતો, જે હનુમાનજીનો વેશ ધારણ કરી સ્ટેજ પર ડાન્સ કરી રહ્યો હતો. ડાન્સ કરતા કરતા અચાનક રવિ શર્મા ઊંધા મોઢે સ્ટેજ પર પડી ગયો. ભજનમાં મગ્ન ભક્તોને લાગ્યું કે તે એક્ટિંગ કરી રહ્યો છે. ત્યારે લોકો તાળીઓ બગાડતા રહ્યા અને ભજન કાર્યક્રમ પણ ચાલતો જ રહ્યો. થોડીવાર સુધી રવિના શરીરમાં કોઈ હલનચલન ના થતા લોકોએ તેને ઉઠાડવાની કોશિશ કરી પણ તે ઉઠ્યો નહીં. ત્યારે બેભાન અવસ્થામાં રવિને તાત્કાલિક મૈનપુરી જિલ્લા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. જેમાં રવિ શર્મા ડાન્સ કરતા કરતા અચાનક સ્ટેજ પર પડતો દેખાય છે. ત્યાં જ અચાનક રવિના મોતને કારણે ગણેશપંડાલમાં જ્યાં ઉજવણીનો માહોલ હતો એ માતમમાં ફેરવાઈ જાય છે. લોકોનું કહેવું છે કે, રવિ ખૂબ સારો કલાકાર હતો.

