ઉતરપ્રદેશ
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડવા જઈ રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીએ તેમને ગોરખપુર સદર બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. વર્ષ ૨૦૧૭માં મુખ્યમંત્રી બન્યા બાદ તેઓ વિધાન પરિષદના સભ્ય બન્યા. સીએમ બનતા પહેલા યોગી આદિત્યનાથ ગોરખપુરથી લોકસભા સાંસદ હતા. યોગી આદિત્યનાથ વર્ષ ૧૯૯૮માં પ્રથમ વખત ગોરખપુરથી લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા અને સતત ૫ વખત લોકસભા ચૂંટણી જીત્યા હતા.ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદે ભારતીય જનતા પાર્ટી અને ગોરખપુરમાં સીએમ યોગી આદિત્યનાથ વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. ગોરખપુર સદર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. યુપી વિધાનસભા ચૂંટણી માટે આઝાદ સમાજ પાર્ટીએ ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જેમાં માત્ર ચંદ્રશેખર આઝાદના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પાર્ટીએ ગોરખપુર સદર વિધાનસભા બેઠક પરથી ચંદ્રશેખર આઝાદને મેદાનમાં ઉતાર્યા છે. ચંદ્રશેખર આઝાદે અગાઉ સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વાત બની શકી નહીં. લગભગ ૪૦ દિવસ સુધી ચાલેલી વાતચીત બાદ ચંદ્રશેખર નિરાશ થયા અને અખિલેશ યાદવ પર તેમને અપમાનિત કરવાનો આરોપ લગાવ્યો. અખિલેશ યાદવે કહ્યું કે તેઓ કોઈ ષડયંત્રનો શિકાર બન્યા છે અને સીટો પર સહમત થયા બાદ તેમણે પલટી મારી દીધી છે.


