ઉતરપ્રદેશ
ઉતર પ્રદેશમાં ચૂંટણી પહેલા જ રાજકારણ ગરમાયુ છે.મળતા અહેવાલ અનુસાર કોંગ્રેસના રાયબરેલીના ધારાસભ્ય અદિતિ સિંહે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ સોનિયા ગાંધીને પત્ર લખીને રાજીનામુ આપ્યુ છે. તેમણે સોનિયા ગાંધીને લખેલા પત્રમાં લખ્યુ હતુ કે, હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહી છું, કૃપા કરીને સ્વીકારો. અદિતિ સિંહ નવેમ્બરમાં જ ઔપચારિક રીતે ભાજપમાં જાેડાયા હતા. ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર બન્યા બાદથી અદિતિ સિંહ કોંગ્રેસ પાર્ટીને લઈને નિવેદનો આપી રહી છે. પાર્ટીના અભિપ્રાય સિવાય તે અવારનવાર કેન્દ્રમાં સત્તામાં રહેલી ભાજપ સરકારના ર્નિણયોની પ્રશંસા કરતી જાેવા મળતી હતી. અદિતિ સિંહના આ પગલાથી તેના પતિ અંગદ સિંહ સૈનીને મોટું નુકસાન થઈ શકે છે. અંગદ પંજાબની નવાશહર સીટથી કોંગ્રેસના ધારાસભ્ય છે. જ્યારે અદિતિ સિંહ કોંગ્રેસના ગઢ ગણાતા રાયબરેલીથી ધારાસભ્ય છે. આ બેઠક પરથી સોનિયા ગાંધી સતત સાંસદ તરીકે ચૂંટાઈ રહ્યા છે. જ્યારે અદિતિના પિતા અખિલેશ સિંહ અહીંથી પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. રાયબરેલીથી કોંગ્રેસના ધારાસભ્ય અદિતિ સિંહે પ્રિયંકા ગાંધી પર ઘણી વખત ખુલ્લેઆમ પ્રહારો કર્યા છે. અદિતિ સિંહે એકવાર કહ્યું હતું કે, જ્યારે કૃષિ કાયદાઓ રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે પણ તેમને સમસ્યાઓ હતી. હવે જ્યારે કૃષિ કાયદાઓ રદ કરવામાં આવ્યા ત્યારે પણ તેઓ વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્યે આરોપ લગાવ્યો હતો કે, પ્રિયંકા ગાંધી આ મામલામાં માત્ર રાજનીતિ કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે હવે પ્રિયંકા ગાંધી માટે રાજનીતિ કરવાના મુદ્દાઓ પૂરા થઈ ગયા છે. એટલા માટે તે ખેડૂતોના મુદ્દાઓ પર રાજનીતિ કરી રહી છે.


