ઉત્તરપ્રદેશ
ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં આજે સવારે ગોઝારો અકસ્માત સર્જાયો જેમાં આઠ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા. જ્યારે બે ડઝન કરતા વધુ લોકો ઘાયલ થયા છે. એવું કહેવાય છે કે સવારે જિલ્લાના ઈસાનગર પોલીસ મથક હદમાં શારદા નદી પાસે ડઝન જેટલા યાત્રાળુઓને લઈને જઈ રહેલી ખાનગી બસ અને ટ્રકની આમને સામને ટક્કર થઈ. ટક્કર એટલી ભયંકર હતી કે આઠ લોકોના ઘટનાસ્થળે મોત થયા જ્યારે ૨૫ જેટલા લોકો ઘાયલ થયા. ઘાયલોમાં અનેક લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. લખીમપુર ખીરીના એડીએમ સંજયકુમારે કહ્યું કે મુસાફરો ભરેલી બસ ધૌરેહરાથી લખનઉ જઈ રહી હતી ત્યારે ઈસાનગર પોલીસ મથક હદમાં દુર્ઘટનાનો ભોગ બની. ઘાયલોને જિલ્લા હોસ્પિટલ ખસેડાયા છે. ગંભીર રીતે ઘાયલ લોકોને લખનઉ રેફર કરાયા છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભીષણ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે જનપદ લખીમપુર ખીરીમાં રોડ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર ખુબ દુઃખ થયું. દિવંગતોના આત્માને શાંતિ મળે તેવી કામના. શોકગ્રસ્ત પરિજનો પ્રત્યે ઊંડી સંવેદના છે. સીએમ યોગીએ જિલ્લાધિકારી અને પોલીસના વરિષ્ઠ અધિકારીઓને ઘટનાસ્થળે જઈને રાહત કાર્ય યુદ્ધસ્તરે કરાવવા અને ઘાયલોને તત્કાળ હોસ્પિટલ પહોંચાડીને તેમની યોગ્ય સારવારના નિર્દેશ આપ્યા છે. તેમણે ઘાયલોના જલદી સાજા થવાની પણ કામના કરી છે.


