રશિયા
યુક્રેનમાં રશિયાના હુમલાની બર્બર તસ્વીરો ચોંકાવનારી છે. ચારે બાજુ નીરવ શાંતિ છે અને વિસ્તારો ખંડેરમાં ફેરવાઈ ગયા છે. લાખો લોકો સ્થળાંતર કરીને અન્ય દેશોમાં આશ્રય લઈ રહ્યા છે. આ દરમિયાન વધુ એક દર્દનાક ચિત્ર સામે આવ્યું છે, જેમાં યુક્રેનના એક મેયર અને તેના પરિવારની કથિત રીતે ર્નિદયતાથી હત્યા કરવામાં આવી હતી અને મૃતદેહને રશિયન સૈનિકોએ જંગલ વિસ્તારમાં એક ખાડામાં ફેંકી દીધો હતો. એક સ્થાનિક રહેવાસીએ એસોસિએટેડ પ્રેસને આ માહિતી આપી છે. કિવ નજીક યુક્રેનિયન શહેર મોટિઝિનના મેયર ઓલ્ગા સુખેન્કોને તેના પતિ અને પુત્ર સાથે કથિત રીતે ગોળી મારી દેવામાં આવી હતી કારણ કે તેઓએ રશિયન માગણીઓનું પાલન કરવાનો ઇનકાર કર્યો હતો. મેયર અને તેમના પરિવારને ગોળી માર્યા બાદ તેમના મૃતદેહને ખાડામાં ફેંકી દેવામાં આવ્યા હતા. મેયર સુખેન્કો અને તેના પરિવારનું રશિયન સેના દ્વારા ૨૩ માર્ચે અપહરણ કરવામાં આવ્યું હતું. યુક્રેનના નાયબ વડા પ્રધાન ઇરિના વેરેશચુકે રવિવારે મેયરની હત્યાની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે ૧૧ વધુ મેયર અને સમુદાયના નેતાઓ હાલમાં રશિયાની કેદમાં છે. યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું હતું કે કિવ પ્રદેશના નગરોમાંથી ૪૧૦ નાગરિકોના મૃતદેહ મળી આવ્યા છે. યુક્રેનિયન અધિકારીઓએ આ પ્રદેશમાંથી પાછા ફરતા પહેલા લશ્કર પર યુદ્ધ અપરાધો કરવાનો આરોપ મૂક્યો છે.નેતાઓએ અત્યાચારની નિંદા કરી અને રશિયા સામે કડક પ્રતિબંધોની હાકલ કરી છે. જર્મનીના સંરક્ષણ પ્રધાન ક્રિસ્ટીન લેમ્બ્રેચટે યુરોપિયન યુનિયનને વિનંતી કરી છે કે તેઓ રશિયન ગેસ પર પ્રતિબંધો લાદવાનું વિચારે. યુક્રેનિયન અધિકારીઓએ હત્યા માટે સંપૂર્ણપણે રશિયન સૈનિકોને જવાબદાર ઠેરવ્યા હતા અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ તેને નરસંહારનો પુરાવો ગણાવ્યો હતો. રશિયન સંરક્ષણ મંત્રાલયે આ આરોપોને ફગાવી દીધા છે. યુક્રેનના રાષ્ટ્રપતિના સલાહકાર, ઓલેકસી એરેસ્ટોવિચે ઉપનગરીય શેરીઓમાં પડેલા મૃતદેહોને “ભયાનક દૃશ્ય” તરીકે વર્ણવ્યું હતું.