કીવ
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના ૫૦ દિવસમાં અત્યાર સુધીમાં યુક્રેનના અધિકારીઓએ માર્યા ગયેલા રશિયન સૈનિકોની ઓળખ કરવા માટે ૮,૬૦૦ વખત ફેસિયલ રેકગ્નિશન સૉફ્ટવેરનો ઉપયોગ કર્યો છે. રશિયન સૈનિકોની ઓળખ કરવા માટે યુક્રેનના અધિકારીઓ આશ્ચર્યજનક કારણ આપે છે. તેમનું કહેવું છે કે સૈનિકની ઓળખ કર્યા બાદ તેઓ રશિયાસ્થિત તેમના પરિવારનો સંપર્ક કરે છે. આ કામગીરી યુક્રેનની આઇટી આર્મી કરે છે. જેમાં સેંકડો યુક્રેનવાસીઓ સ્વૈચ્છિક સેવા આપે છે. અત્યાર સુધી તેમણે ૫૮૨ મૃત રશિયન સૈનિકોની ઓળખ કરીને તેમના પરિવારનો સંપર્ક કર્યો છે. યુક્રેને ક્લિયર વ્યૂ એઆઇ નામની અમેરિકન કંપની પાસેથી ફેસ સ્કેનિંગ સોફ્ટવેર મેળવ્યું હતું. કંપનીએ જણાવ્યું હતું કે યુક્રેનના ૩૪૦ અધિકારીઓ આ સોફ્ટવેરનો ઉપયોગ કરી રહ્યા છે. તેઓ મોબાઇલ ફોન દ્વારા મૃત રશિયન સૈનિકોને સ્કેન કરીને તેમની ઓળખ મેળવે છે. કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે યુક્રેનની આ કામગીરી સાઇકોલોજિકલ વૉરફેરના ભાગરૂપ છે. જેના દ્વારા રશિયન સૈનિકો પર મનોવૈજ્ઞાનિક દબાણ ઊભું કરવામાં આવે છે. નિષ્ણાતોનું એમ પણ કહેવું છે કે આ કામગીરી બેકફાયર પણ થઈ શકે છે. તેના કારણે યુક્રેનથી સેંકડો કિમી દૂર રશિયામાં મૃત સૈનિકોની માતાઓ, પરિવારજનો માટે મોટો આઘાત પહોંચે છે. યુક્રેનની આઇટી આર્મી મૃત રશિયન સૈનિકની ઓળખ કર્યા બાદ તેની તસવીરો તેના પરિવારજનોને મોકલે છે. નિષ્ણાતોનું કહેવું છે કે જાે રશિયન આર્મી આવું યુક્રેનના સૈનિકો સાથે કરે તો શું થશે? તેમને જે આઘાત લાગશે એમાંથી બહાર આવતા લાંબો સમય લાગશે. યુક્રેનની આઇટી આર્મી જે ફેસ સ્કેનિંગ સોફ્ટવેરનો ઉપયોગ કરે છે એ મૂળ અમેરિકામાં એફબીઆઇ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. એફબીઆઇએ ૨૦ અબજ ઇમેજીસનો ડેટાબેઝ તૈયાર કર્યો છે. એફબીઆઇ કોઈ પણ આરોપી કે શંકાસ્પદ વ્યક્તિનો ચહેરો સ્કેન કરીને ગણતરીની પળોમાં તેમના વિશે જાણકારી મેળવી શકે છે.
