ઇસ્લામાબાદ
પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું હતું કે, ભારત તરફથી પાકિસ્તાની ક્ષેત્રમાં આકસ્મિક રીતે મિસાઈલ પડવું એ એક “ગંભીર મામલો” છે જેને નવી દિલ્હીની માત્ર “ઉપરી સ્પષ્ટતા” દ્વારા ઉકેલી શકાય નહીં. તેમણે આ મામલાની સંયુક્ત તપાસની માગનો પુનરોચ્ચાર કર્યો હતો. પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, કુરેશીએ તેમના જર્મન સમકક્ષ અનાલેના બેરબોક સાથે ટેલિફોન વાતચીત દરમિયાન આ ટિપ્પણી કરી હતી. નિવેદન અનુસાર, કુરેશીએ ૯ માર્ચે ભારતીય મિસાઇલ દ્વારા પાકિસ્તાની એરસ્પેસના ઉલ્લંઘન અંગે બાર્બોકને જાણ કરી હતી. વિદેશ મંત્રીએ કહ્યું કે, ભારતે આ અંગે ખેદ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે મિસાઈલ ‘આકસ્મિક રીતે’આવી હતી. જાે કે, કુરેશીએ કહ્યું કે આવી “ગંભીર બાબત” ને ભારતીય પક્ષ તરફથી “સુપરફિસિયલ ખુલાસો” સાથે ઉકેલી શકાય નહીં.સાથે તેમણે આ ઘટના અંગે સંયુક્ત તપાસ માટે આહ્વાન કર્યું છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયને “પરમાણુ નિઃશસ્ત્ર વાતાવરણમાં આ ગંભીર ઘટનાની ઊંડી સંજ્ઞાન લેવા અને આ ક્ષેત્રમાં વ્યૂહાત્મક સ્થિરતા જાળવવા અને પ્રોત્સાહન આપવા માટે તેની યોગ્ય ભૂમિકા ભજવવા” માટે હાકલ કરી છે. ભારતના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે,એવું જાણવા મળ્યું છે કે મિસાઇલ પાકિસ્તાનના એક વિસ્તારમાં પડી હતી. આ ઘટના અત્યંત ખેદજનક છે, રાહતની વાત એ છે કે કોઈ જાનહાનિ થઈ નથી. ભારત સરકારે આકસ્મિક મિસાઈલ પ્રક્ષેપણની ઘટનાને ગંભીરતાથી લીધી છે અને ઉચ્ચ સ્તરીય ‘કોર્ટ ઓફ ઈન્ક્વાયરી’ના આદેશ આપ્યા છે. પાકિસ્તાને ભારતીય મિસાઈલને સમયસર શોધી ન શકવા બદલ એરફોર્સ કમાન્ડર અને બે એર માર્શલ્સને હાંકી કાઢ્યા છે. પાકિસ્તાનમાં હાલ સૌથી વધુ એ સવાલ ઉઠી રહ્યો છે કે બે દિવસ બાદ પાકિસ્તાનની એરફોર્સ આ ઘટના પર કેમ એક્શનમાં આવી.. સરકાર પર પણ સવાલો ઉઠી રહ્યા છે.


