ઇસ્લામાબાદ
લોંગ માર્ચ લઇ ઇસ્લામાબાદ તરફ આગળ વધી રહેલા પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાન પર વજીરાબાદમાં ઝફર અલી ખાન ચોક પાસે કન્ટેનર પાસે ફાયરિંગ થયું હતું. તેમના પર તે સમયે ફાયરિંગ થયુ હતું જ્યારે તેઓ પોતાના સમર્થકોને સંબોધિત કરી રહ્યા હતા. ગોળીબારના અવાજથી રેલીમાં હાજર ભીડમાં હંગામો મચી ગયો હતો અને અનેક લોકો ઘાયલ થયા હતા. હુમલાખોરે કન્ટેનરની નીચેથી ઉપરની તરફ ગોળીબાર કર્યો હોવાથી ગોળીઓ પીટીઆઈ નેતાઓના પગમાં વાગી હતી. હુમલાખોરે અંધાધુંધ ગોળીબાર કર્યો હતો. જેમાં ઈમરાન ખાન સહિત ઘણા લોકો ઘાયલ થયા હતા. અહેવાલો અનુસાર, ઈમરાન ખાનને પગમાં ગોળી વાગી હતી જે બાદ તેમને બુલેટપ્રૂફ કારમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલ હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાની ન્યૂઝ વેબસાઈટે જણાવ્યું કે હુમલાખોર ઈમરાન ખાનના કાફલાની રાહ જાેઈ રહ્યો હતો. તે કન્ટેનરની ખૂબ નજીક હતો. કન્ટેનર નજીક આવતા જ તેણે ઈમરાન ખાન અને તેમની સાથે ઉભેલા તેમની પાર્ટીના નેતાઓ પર હુમલો કર્યો. નીચેથી હુમલાના કારણે કન્ટેનરની ઉપર ઉભેલા નેતાઓના પગમાં ગોળીઓ વાગી હતી. આ હુમલામાં ઈમરાન ખાનને પણ ગોળી વાગી હતી. જ્યારે ઈમરાનને કન્ટેનરમાંથી ઉતારવામાં આવ્યા ત્યારે તેમના પગ પર પાટો બાંધવામાં આવ્યો હતો. ન્યૂઝ વેબસાઈટ જણાવ્યા અનુસાર, આ હુમલામાં ફવાદ ચૌધરી અને ફૈઝલ જાવેદ પણ ઘાયલ થયા છે. ઇસ્લામાબાદ તરફથી ચાલી રહેલ સરકાર વિરોધી લોંગ માર્ચનું નેતૃત્વ પીટીઆઇના અધ્યક્ષ ઇમરાન ખાને આ પહેલા કહ્યું હતું કે, ચૂંટણીની તારીખની ઘોષણા થાય ત્યાં સુધી વિરોધ ૧૦ મહિના સુધી ચાલુ રહેશે.


