ઇસ્લામાબાદ
પાકિસ્તાનની રાજનીતિમાં આ દિવસોમાં સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓ પર ખુબ હુમલા થઈ રહ્યાં છે. સાઉદી અરેબિયાના પ્રવાસે ગયેલા પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફને પ્રદર્શનકારીઓએ છોડ્યા નહીં. હવે ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક એ ઇન્સાફના વરિષ્ઠ નેતા અને નેશનલ એસેમ્બલીના પૂર્વ ઉપાધ્યક્ષ કાસિમ સૂરી પર હુમલો થયો છે. કાસિમ સૂરી તે નેતા છે જેણે પાકિસ્તાનની સંસદમાં ઇમરાન ખાનના કથિત વિદેશી હસ્તક્ષેપના દાવા વાળો પત્ર દેખાડ્યો હતો. હવે હુમલા બાદ તેમણે ઇસ્લામાબાદ પોલીસને પ્રદર્શનકારીઓ વિરુદ્ધ કાર્યવાહીની અપીલ કરી છે. કાસિમ સૂરીએ જણાવ્યુ કે શુક્રવારની સવારે ઇસ્લામાબાદના કોહસર બજારમાં એક રેસ્ટોરન્ટમાં સહરી ભોજન દરમિયાન તેના અને તેમના સાથીઓ પર હુમલો કરવામાં આવ્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે આ ઘટના સમયે પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના સીનેટર એઝાજ ચૌધરી પણ ત્યાં હાજર હતા. આ વીડિયોમાં પીટીઆઈ મુર્દાબાદના નારા લગાવતા લોકો રેસ્ટોરન્ટની અંદર દાખલ થયા હતા. ત્યારબાદ અજાણ્યા લોકોએ સૂરી અને સીનેટર એઝાજ પર હુમલો કર્યો. બંને પક્ષો વચ્ચે જૂતા-પાટુ અને લાફાનો વરસાદ થયો હતો. પરંતુ આ ઘટનામાં કોઈને ગંભીર ઈજા થઈ નથી. બાદમાં હુમલો કરનાર ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ કાસિમ સૂરી અને ચૌધરીએ ઇસ્લામાબાદ પોલીસને હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સૂરીએ કોહસર પોલીસ સ્ટેશનમાં પત્ર લખી ઘટનાની વિગતો આપી ન્યાયની માંગ કરી છે. હાથથી લખેલા આવેદનમાં કાસિમ સૂરીએ પોલીસને જણાવ્યુ કે તે કોહસર બજારમાં એક રેસ્ટોરન્ટમાં બેઠા હતા. જ્યાં અદિલ મિર્ઝા અને ખાલિદ ભટ્ટી મારી સાથે એક ટેબલ પર હતા, જ્યારે ડો. આરિફ અને મહિલાઓ બીજા ટેબલ પર હતા. તેમણે કહ્યું કે, ૧૫થી ૨૦ લોકોનું ટોળુ લગભગ ૧૨.૫૦ કલાકે પહોંચ્યું અને પીટીઆઈ વિરુદ્ધ નારેબાજી કરવા લાગ્યું હતું. સૂરીએ આરોપ લગાવ્યો કે તે લોકોએ તેના પર અને સાથીઓ પર હુમલો કર્યો અને દાવો કર્યો કે તેની મારી નાખવા ઈચ્છતા હતા. તેમણે દાવો કર્યો કે તે સતત ધમકી આપી રહ્યાં હતા કે કોઈને છોડવામાં આવશે નહીં. સૂરી અનુસાર તેમના એક સાથી ડોક્ટર આરિફને ઘટના દરમિયાન આંખમાં ઈજા થઈ હતી. તેમણે કહ્યું કે, ત્યાં હાજર અન્ય લોકોના હસ્તક્ષેપ બાદ હુમલો કરનાર બે અલગ-અલગ ગાડીઓમાં સવાર થઈને ત્યાંથી ભાગી ગયા હતા. તેમણે કહ્યું કે, મારી સાથે ગંભીર અન્યાય થયો છે અને કાયદાકીય કાર્યવાહી દ્વારા તેને ન્યાય જાેઈએ.
