પાકિસ્તાન
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં જાહેર ક્ષેત્રની હોસ્પિટલની છત પર ફેંકી દેવામાં આવેલા કેટલાક મૃતદેહો મળી આવ્યા છે, આ ઘટનાએ વિશ્વમાં હોબાળો મચાવ્યો હતો. પંજાબના મુખ્યમંત્રી પરવેઝ ઇલાહીએ શુક્રવારે આ ઘટનાની કડક નોંધ લીધી હતી અને આ મામલાની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી હતી. વિશેષ આરોગ્ય સેવા સચિવ મુઝામિલ બશીરની અધ્યક્ષતાવાળી છ સભ્યોની સમિતિને તપાસ પૂરી કરવા અને તમામ જવાબદારી નક્કી કરવા માટે ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે. મૃતદેહોની સંખ્યા ૨૦૦ હોવાનું જાણવા મળે છે. મુખ્યપ્રધાનના સલાહકાર ચૌધરી ઝમાન ગુર્જરે ગુરુવારે લાહોરથી લગભગ ૩૫૦ કિલોમીટર દૂર મુલ્તાનની નિશ્તર હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને હોસ્પિટલના શબઘરની છત પર ઘણા “છોડી દેવાયેલા” મૃતદેહો મળી આવ્યા હતા. અહેવાલ અનુસાર, ગુર્જરે કહ્યું કે, તે નિશ્તાર હોસ્પિટલમાં મુલાકાત પર ગયા હતા, ત્યારે એક વ્યક્તિ તેની પાસે આવ્યો અને કહ્યું કે જાે તમારે કોઈ સારું કામ કરવું હોય તો શબઘરમાં જાઓ અને તેને તપાસો. તેમણે જણાવ્યું હતું કે જ્યારે તેઓ આવ્યા ત્યારે સ્ટાફ શબઘરના દરવાજા ખોલવા આનાકાની કરતો હતો. ગુજ્જરે આગળ કહ્યું, મેં તેમને કહ્યું હતું કે જાે તમે દરવાજા નહીં ખોલો, તો હું તમારી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરીશ. તેમણે દાવો કર્યો હતો કે આખરે જ્યારે શબઘર ખોલવામાં આવ્યું અને ત્યારે તેઓ અંદર પ્રવેશ્યા અને આસપાસ ઓછામાં ઓછા ૨૦૦ મૃતદેહો પડેલા જાેયા. વિઘટિત થયેલા તમામ મૃતદેહો (પુરુષો અને સ્ત્રીઓ) નગ્ન હતા. મહિલાઓના શરીરને પણ ઢાંકવામાં આવ્યાં ન હતાં. ગુજ્જરે જણાવ્યું હતું કે, જ્યારે તેમણે ડોકટરોને શું ચાલી રહ્યું છે તે સમજાવવા કહ્યું હતું, ત્યારે તેઓએ જણાવ્યું હતું કે તબીબી વિદ્યાર્થીઓ દ્વારા શૈક્ષણિક હેતુઓ માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ ત્યજી દેવાયેલા મૃતદેહોના અંતિમ સંસ્કારના આદેશ આપ્યા છે અને આરોગ્ય અધિકારીઓને આ મામલે સંડોવાયેલા કર્મચારીઓ સામે કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે. નિશ્તાર મેડિકલ યુનિવર્સિટીના પ્રોફેસર ડો.મરિયમ આશરફે શુક્રવારે નિવેદનમાં જણાવ્યું હતું કે તેને પોલીસ વિભાગ તરફથી બિનવારસી અને અજાણ્યા મૃતદેહો મળ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, આવા મૃતદેહોમાં ડિકોમ્પોઝીશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને તેમને વિવિધ તબીબી હેતુઓ માટે શબઘરની છત પર મૂકવામાં આવ્યા હતા. આ મૃતદેહોનો ઉપયોગ વિદ્યાર્થીઓ દ્વારા તબીબી પ્રયોગો માટે કરવામાં આવે છે અને આ સરકાર દ્વારા નિર્ધારિત નિયમો અનુસાર કરવામાં આવે છે. આ ઘટના અસામાન્ય નથી. કારણ કે વધુ તબીબી ઉપયોગ માટે હાડકાં અને ખોપરી કાઢવામાં આવે છે, અશરફે ઉમેર્યુ હતું. શુક્રવારે સોશિયલ મીડિયા પર ફરતા થયેલા વીડિયોમાં જાેવા મળ્યું હતું કે અનેક મૃતદેહોને ખરાબ હાલતમાં છત પર ફેંકી દેવામાં આવ્યા હતા. જેના કારણે એવી અફવા ફેલાઈ હતી કે મૃતદેહોને ગરુડ અને ગીધના ખોરાક તરીકે ઉપયોગમાં લેવા માટે છત પર રાખવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર બલૂચ અલગાવવાદીઓ દાવો કરી રહ્યા છે કે આ તેમના ગુમ થયેલા લોકોની લાશ હોઈ શકે છે.


