નવીદિલ્હી
ભારતમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૪૪૩૫ નવા કેસ નોંધાયા છે. ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૨ પછી આ પ્રથમ વખત છે જ્યારે એક દિવસમાં કોરોનાના આટલા કેસ નોંધાયા છે. ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ એક જ દિવસમાં કોરોનાના ૪,૭૭૭ નવા કેસ નોંધાયા હતા. ત્યારથી, કોરોનાના કેસોમાં સતત ઘટાડો નોંધાયો છે. દેશમાં કોવિડ-૧૯ના ૪૪૩૫ નવા કેસ સાથે સક્રિય કેસની સંખ્યા ૨૩ હજારને વટાવી ગઈ છે. હાલમાં દેશમાં કોરોનાના ૨૩૦૯૧ દર્દીઓની સારવાર ચાલી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં ૧૧ દર્દીઓના મોત થયા છે, જે આ વર્ષમાં સૌથી વધુ છે. વર્ષ ૨૦૨૩માં આ પ્રથમ વખત છે જ્યારે મૃત્યુઆંક ડબલ ડિઝીટને પાર કરી ગયો છે. મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે સૌથી વધુ ૪ લોકોના મોત થયા છે. તે જ સમયે, ચંદીગઢ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, રાજસ્થાન, પુડુચેરી અને કર્ણાટકમાં ૧-૧ વ્યક્તિનું મૃત્યુ થયું છે. હાલમાં, દૈનિક પોઝિટિવિટી રેટ ૩.૩૮ ટકા છે. દેશમાં રસીકરણ અભિયાન હેઠળ, છેલ્લા ૨૪ કલાકમાં ૧૯૭૯ ડોઝ આપવામાં આવ્યા હતા. આ સાથે ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના ૨૨૦.૬૬ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં ૯૫.૨૧ કરોડ સેકન્ડ ડોઝ અને ૨૨.૮૬ કરોડ બૂસ્ટર ડોઝ પણ સામેલ છે. દેશમાં કોરોનામાંથી રિકવરી રેટ ૯૮.૭૬ ટકા છે. અને સક્રિય કેસ ૦.૦૫ ટકા છે. આંકડાઓ અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં ૨૫૦૮ લોકો કોરોનામાંથી સ્વસ્થ થયા છે અને સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા ૪.૪૧ કરોડ પર પહોંચી ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧,૩૧,૦૮૬ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેની સાથે દેશમાં અત્યાર સુધીમાં કોરોના ટેસ્ટનો આંકડો ૯૨.૨૧ કરોડ થઈ ગયો છે.
