નવીદિલ્હી
આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમનારા નેપાળના સંદીપ લામિછાનેને નેપાળી કોર્ટે જામીન આપી દીધા છે. લામિછાને પર સગીરા પર બળાત્કાર કરવાનો આરોપ છે. નેપાળની પાટણ હાઈકોર્ટે લામિછાનેને બે લાખ રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા છે. તેને જામીન તો મળી ગયા છે, પરંતુ તેના વિદેશ જવા પર પ્રતિબંધ છે. શુક્રવારે તેને મુક્ત કરવામાં આવશે. અગાઉ ૮ સપ્ટેમ્બરના રોજ નેપાળની એક કોર્ટે લામિછાનેની ધરપકડ માટે વોરંટ જારી કર્યું હતું. સંદીપ લામિછાને પર કાઠમંડુની એક હોટલના રૂમમાં ૧૭ વર્ષની સગીરા પર બળાત્કાર ગુજાર્યો હોવાનો આરોપ છે. કોર્ટ સુત્રોના જણાવ્યા મુજબ પાટણ હાઈકોર્ટે લામીછાનેને ૨ લાખના જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે. ઓક્ટોબરમાં લામિછાનેની અટકાયત કરવામાં આવી હતી. જસ્ટીસ ધ્રુવરાજ નંદા અને રમેશ ઢાકલની સંયુક્ત બેન્ચે આઇપીએલના ભૂતપૂર્વ ખેલાડી લામિછાનેને રુપિયા બે લાખના જામીન પર મુક્ત કરી કાઠમંડુ ડિસ્ટ્રિક્ટ કોર્ટના આદેશને બદલી નાખ્યો હતો. સગીર યુવતીએ ૫ સપ્ટેમ્બરના રોજ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે ક્રિકેટ સ્ટારે તેની પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ લામિછાનેને જિલ્લા અદાલતના આદેશ પર તપાસ માટે કસ્ટડીમાં મોકલી દીધા હતા. ઓક્ટોબરમાં લામિછાનેએ ફેસબુક પર લખ્યું હતું કે, તેઓ તપાસના દરેક તબક્કમાં સંપૂર્ણ સહકાર આપશે અને પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે કાયદાકિય લડત લડશે. આ પછી તેની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે કોર્ટે અંતિમ આદેશ સુધી લામિછાનેને દેશ છોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. લેગ સ્પિનર લામિછાને નેપાળનો સૌથી હાઈપ્રોફાઈલ ક્રિકેટર છે. તે નેપાળનો પહેલો ક્રિકેટર હતો જે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમ્યો હતો. તેણે ૨૦૧૮માં દિલ્હી કેપિટલ્સ માટે ડેબ્યૂ કર્યું હતું. ૨૨ વર્ષીય સંદીપ લામિછાનેએ નેપાળ માટે અત્યાર સુધી ૩૦ વન ડે રમી છે, જેમાં તેણે ૪૪ ટી-૨૦માં ૬૯ વિકેટ અને ૮૫ વિકેટ ઝડપી છે. આઇપીએલમાં લામિછાનેએ ૯ મેચમાં ૧૩ વિકેટ ઝડપી છે.


