નવીદિલ્હી
ભારતીય ક્રિકેટ ટીમ આઇપીએલ બાદ ઇંગ્લેન્ડના પ્રવાસે જનારી છે જ્યાં લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ રમાશે. આ ટેસ્ટ ક્રિકેટ મેચમાં ભારતની ટીમના મેનેજર તરીકે ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના સેક્રેટરી અનિલ પટેલની નિયુક્તિ કરવામાં આવી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ ફાઇનલ ટેસ્ટ મેચ પર સમગ્ર વિશ્વની નજર રહેલી છે કેમ કે તેની વિજેતા ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન બનશે. ભારત ગયા વર્ષે પણ ફાઇનલમાં રમ્યું હતું જ્યાં તેનો ન્યૂઝીલેન્ડ સામે પરાજય થયો હતો. આમ ભારત આ વખતે રનર્સ અપ તરીકે રમશે. પ્રવાસી ભારતીય ક્રિકેટ ટીમના મેનેજર તરીકે અનિલ પટેલ બહોળો અનુભવ ધરાવે છે. તેઓ આ અગાઉ ૨૦૧૭, ૨૦૧૮ અને ૨૦૧૯માં આ ફરજ અદા કરી ચૂક્યા છે. આ ઉપરાંત ગયા વર્ષે તેઓ મેનેજર તરીકે સાઉથ આફ્રિકા ગયા હતા. તેઓ ગુજરાતની ક્રિકેટ ટીમના કોચ અને મેનેજર તરીકે પણ વ્યાપક સેવા આપી ચૂક્યા છે.


