નવીદિલ્હી
સંજુ સેમસન એવો બેટ્સમેન છે જેનું ટીમ ઈન્ડિયામાં રહેવું અને ન રહેવું એ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય છે, જાે સેમસનને ટીમમાં તક ન મળે તો તેના ફેન્સ સોશિયલ મીડિયા પર હંગામો મચાવે છે. સંજુએ હવે મંગળવારે તેના ચાહકોને ખુશ થવાની તક આપી છે. જાે કે આ ખુશી લાંબો સમય ટકી શકી ન હતી, પરંતુ સંજુના ચાહકોને રાહત મળી હશે. સંજુએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી વનડેમાં અડધી સદી ફટકારી અને પછી આઉટ થઈ ગયો. સંજુને બીજી વનડેમાં તક મળી. પરંતુ તે મોટી ઇનિંગ્સ રમી શક્યો નહોતો. આ પછી સંજુ ફરી ટીકાકારોના નિશાના પર આવી ગયો હતો. ત્રીજી વનડેમાં સંજુને ફરી તક મળી અને આ બેટ્સમેને સારી ઇનિંગ રમી હતી. સંજુ આ મેચમાં આક્રમક મૂડ સાથે આવ્યો હતો. આવતાની સાથે જ તેણે બીજા બોલ પર યાનિક કેરિયાને સિક્સર ફટકારી હતી. કેરિયાની આગલી ઓવરમાં તેણે ફરીથી સિક્સર ફટકારી હતી. સંજુ સતત આક્રમક રીતે રમી રહ્યો હતો અને તેણે કેરિયાને ટાર્ગેટ બનાવ્યો હતો. ૩૧મી ઓવરમાં તેણે ફરી કેરિયાને ફોર અને સિક્સર ફટકારી. જાેકે, બાદમાં તેની બેટિંગ ધીમી પડી હતી. સંજુએ ૩૯માં બોલ પર પોતાની અડધી સદી પૂરી કરી હતી. સંજુ પાસે પોતાની ઇનિંગને આગળ લઇ જવાની તક હતી પરંતુ તે તેમ કરી શક્યો નહીં. પરંતુ અડધી સદી પૂરી કર્યા બાદ તે પણ વહેલો આઉટ થયો હતો. તેણે ૩૨મી ઓવરના ત્રીજા બોલ પર તેની અડધી સદી પૂરી કરી અને એક બોલ પછી તે રોમારિયો શેફર્ડની બોલ પર શિમરોન હેટમાયરના હાથે કેચ આઉટ થયો. સેમસને ૪૧ બોલમાં ૫૧ રન બનાવ્યા હતા. પોતાની ઇનિંગમાં આ બેટ્સમેને બે ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. સંજુએ આઉટ થતા પહેલા ગિલ સાથે શાનદાર અડધી સદીની ભાગીદારી કરી હતી. બંનેએ ત્રીજી વિકેટ માટે ૬૯ રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારી ત્યારે થઈ જ્યારે ભારતે સારી શરૂઆત બાદ ઝડપી બે વિકેટ ગુમાવી દીધી હતી. ગિલ અને ઈશાન કિશને પ્રથમ વિકેટ માટે ૧૪૩ રન જાેડ્યા હતા. અહીં ઈશાન ૭૭ રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ ઋતુરાજ ગાયકવાડ પણ આઠ રન બનાવીને આઉટ થયો હતો. અહીં ટીમને રિકવર કરવા માટે ભાગીદારીની જરૂર હતી, જે ગિલ અને સેમસને આપી. ગિલ ૮૫ રન બનાવીને આઉટ થયો હતો.


