નવીદિલ્હી
કેન્દ્રએ કહ્યું હતું કે તાજેતરનાં દિવસોમાં અનેક રાજયોમાં કમોસમી વરસાદ પડવાથી ઘઉંના ૮-૧૦% પાકને નુકસાન થયું હોવાનો અંદાજ છે. જાેકે સિઝનના અંતે જે વિસ્તારોમાં વાવેતર થયું છે ત્યાં ઘઉંનો સારો પાક થવાની ધારણા છે તે જાેતા આ નુકસાન સરભર થઈ જશે. કૃષિ કમિશ્નર પી.કે. સિંઘે કહ્યું હતું કે કમોસમી વરસાદ છતાં દેશમાં આ વર્ષે વિક્રમજનક ૧૧.૨૨ કરોડ ટન ઘઉંનું ઉત્પાદન થશે તેવો અંદાજ છે. છેલ્લા કેટલાક સપ્તાહમાં પંજાબ, હરિયાણા, ઉતરપ્રદેશ અને મધ્ય પ્રદેશ જેવા ઘઉંનું ઉત્પાદન કરતા રાજયોમાં કમોસમી વરસાદ પડયો છે અને ભારે પવન પણ ફૂંકાયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આમ થયું છે.ઘઉંનો પાક લણવા માટે ઓલમોસ્ટ તૈયાર હતો તેવા સમયે જ આ વરસાદને કારણે પાકને નુકસાન થયું છે. સતાવાર ડેટા અનુસાર મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉતર પ્રદેશમાં ઘઉંનું વાવેતર થયુ હોય તેવા ૫.૨૩ લાખ હેકટર વિસ્તારમાં કમોસમી વરસાદથી નુકશાન થયું છે. કે.પી. સિંઘે આ રાજયોના સીનિયર અધિકારીઓ સાથે સમીક્ષા કર્યા બાદ કહ્યું હતું કે, કેટલાક વિસ્તારોમાં પાકને નુકસાન થયું છે ૮-૧૦% પાકને નુકસાન થયું છે. દેશમાં આ વર્ષે ૩.૪ કરોડ હેકટરમાં ઘઉંનું કુલ વાવેતર થયું છે તે જાેતા આટલું નુકસાન બહુ વધારે નથી. બીજી તરફ કેટલાક એવા વિસ્તારો પણ છે જયાં વરસાદ તો પડયો છે પરંતુ પવન નથી ફૂંકાયો ત્યાં સિઝનના અંતે થયેલા વાવેતરને ફાયદો થયો છે. તેમણે ઉમેર્યુ કે, કમોસમી વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ફાયદો પણ થયો છે અને તેને કારણે મોડા થયેલા વાવેતરમાં પાક ૧૦-૧૫% વદુ આવી તેવી સંભાવના છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ૮૦% ઘઉંનો પાક લણી લેવાયો છે. આથી આ રાજયોમાં ખાસ નુકસાન નથી. બીજી તરફ પંજાબ, ઉતરપ્રદેશ અને હરિયાણામાં ૨૫% વાવેતર મોડું થયું છે અને તેને કમોસમી વરસાદનો ફાયદો થયો છે.


