સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલ સફળતા બાદ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ દર માસે યોજવા અંગે સૂચન કરેલ છે. જે અન્વયે આગામી તા.૨૫/૦૧/૨૦૨૩ના રોજ સવારના ૧૧:૩૦ કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી મામલતદારશ્રી તેમજ એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટશ્રી, ધ્રોલના અધ્યક્ષસ્થાને મિટિંગ હોલ, મામતલદાર કચેરી, ધ્રોલ, જામનગર ખાતે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવશે.
આગામી તા.૨૧/૦૧/૨૦૨૩ સુધીમાં અરજદારોએ તેમની અરજી પૂરતા પૂરાવાઓ સાથે ‘તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ‘ના મથાળા હેઠળ મામલતદારશ્રી અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટશ્રી, ધ્રોલને મોકલી આપવાની રહેશે. આ અંતર્ગત, આગામી તા.૨૫ જાન્યુઆરીના રોજ યોજાનારા આ કાર્યક્રમમાં પ્રશ્ન રજૂ કરવા માટે અરજદારે નીચે જણાવેલ પ્રકારની અરજીઓ પૂરતા પુરાવા સાથે મોકલી આપવાની રહેશે.
(૧) તાલુકા સ્વાગતમાં અરજી કરતા પહેલા કોઈપણ અરજદારે ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો તે ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રીશ્રી, ગ્રામસેવકશ્રીને પ્રથમ અરજી કરેલી હોય અને તે અનિર્ણિત રહેલ હોય.
(૨) તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિતમાં રજુઆત કરેલી હોય અને તે અનિર્ણિત હોય.
(૩) રજૂ કરવાના પ્રશ્નો ગ્રામ તથા તાલુકા કક્ષાએ નિર્ણય/નિકાલ કરી શકાય તેવા હોવા જોઈએ.
(૪) આ કાર્યક્રમમાં અરજદાર જાતે પોતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર પુરાવા સાથે કાર્યક્રમની નિયત તારીખે હાજર રહેવાનું રહેશે.
(૫) આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે. એક અરજીમાં સામુહિક રજુઆતો કરી શકશે નહીં તેમ મામલતદાર કચેરી, ધ્રોલની યાદીમાં જણાવવામાં આવે છે. ધ્રોલ તાલુકાના તમામ નાગરિકોને આ તાલુકા સ્વાગત કાર્યક્રમનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવે છે.
