મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
હવામાન ખાતાની આગાહી અનુસાર તા.૨૮/૧/૨૩ ના રોજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહીને અનુલક્ષીને ખેડામાં કમોસમી વરસાદ પડ્યો હતો. જે સંદર્ભે 24 કલાક માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
આ ઉપરાંત હવામાન ખાતાની આગાહી અનુસાર 29 જાન્યુઆરી રાતથી ફરી ઠંડીનું જોર વધશે તેમજ આવા સમયે વાદળછાયા વાતાવરણને કારણે મોટા ભાગે ખેડૂતો પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે, તેમ છતાં નીચે મુજબના તકેદારીનાં પગલા લેવા રાજ્યના ખેડુતોને ખેતીવાડી વિભાગ દ્વારા સંદેશ આપવામાં આવે છે.
– કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું.
– જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો
– ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા.
– એ.પી.એમ.સી.ના વેપારી અને ખેડુત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે. એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા.
આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામ સેવક / વિસ્તરણ અધિકારી / તાલુકા અમલીકરણ અધિકારી / મદદનીશ ખેતી નિયામક (તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર -૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવો.


