આગામી તા. 24 મે ના જામનગર શહેરમાં ‘તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાશે
અરજદારોએ આગામી તા. 16 મે સુધીમાં જામનગર શહેર મામલતદાર કચેરીને અરજી મોકલવાની રહેશે
*જામનગર તા. 05 મે,* ‘સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ ની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ ‘તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ દર માસના ચોથા બુધવારે યોજવાનું સૂચન કર્યું છે.
જે અંતર્ગત, જામનગર શહેર તાલુકામાં ‘તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તા. 24/05/2023 ના રોજ સવારના 11:30 કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી, મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેસ્ટશ્રી, જામનગર શહેરના અધ્યક્ષસ્થાને જામનગર શહેર મામલતદાર કચેરીની ચેમ્બરમાં યોજવામાં આવશે.
*તેથી, આગામી તા. 16 મે સુધીમાં અરજદારોએ તેમની અરજી મોકલી દેવાની રહેશે. અરજી મોકલતી વખતે અરજદારોએ નીચે જણાવેલી તમામ બાબતોનું પાલન કરવાનું રહેશે. જે અંતર્ગત,*
(1) જો તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિતમાં રજુઆત કરેલી હોવી જોઈએ, અને રજૂ કરેલો પ્રશ્ન અનિર્ણિત હોવો જોઈએ. તો જ આ કાર્યક્રમમાં અરજી સ્વીકારવામાં આવશે.
(2) કાર્યક્રમમાં તાલુકા કક્ષાના અધિકાર ક્ષેત્રમાં આવતા પ્રશ્નોના જ નિર્ણય લઈ શકાય, તેવા પ્રશ્નો જ હોવા જોઈએ.
(3) કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર-પુરાવા સાથે રજુઆત કરી શકશે.
(4) કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે, સામુહિક રજુઆતો કરી શકશે નહીં. જામનગર શહેર તાલુકાના તમામ નાગરિકોને આ તાલુકા સ્વાગત કાર્યક્રમનો લાભ લેવા માટે મામલતદારશ્રી, જામનગર શહેરની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.
