જૂનાગઢની એક એવી કચેરી કે, જ્યાં સરકારી સેવાની સાથે માનવતા ઉઠે છે, અહીંયા આવતા અરજદારો પણ અધિકારી-કર્મચારીઓને આશીર્વાદ આપતા થાંકતા નથી.
વાત છે, સરદાર બાગ ખાતે બહુમાળી ભવનમાં આવેલ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરીની. આ કચેરીમાં માનવીય અભિગમ કેન્દ્રમાં રાખી અને અરજદારનું કામ પોતાનું કામ છે, તેમ માની રાજ્ય સરકારની યોજનાઓ-સેવાઓનો લાભ આપવામાં આવે છે.
આ સંદર્ભે જાણકારી આપતા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી એચ.એમ. રામાણી કહે છે કે, આ કચેરીમાં મોટાભાગના અરજદારો દિવ્યાંગ, મનોદિવ્યાંગ કે, તેમના વાલીઓ હોય છે, ત્યારે અમારી જવાબદારી વધી જાય છે જેને ધ્યાનમાં રાખીને અરજદારોના હિતમાં કેટલાંક નિર્ણયો કર્યા છે.
તેઓ વિગતવાર વાત કરતા ધરાવે છે કે જણાવે છે કે, ઘણી વખત એવું બન્યું છે, ગ્રામ્ય કક્ષાએથી કોઈ દિવ્યાંગ એસ.ટી. બસ કે, અન્ય વાહનમાં પૈસા ચૂકવીને મુસાફરી કરી, વિનામૂલ્ય એસ.ટી. બસ સેવા માટેનો પાસ મેળવવા આવ્યા હોય, અને સાથે જરૂરી કાગળો લાવ્યા હોય તો. ફરી ઘરે જાય ત્યારે વિનામૂલ્યે એસ.ટી. બસ સેવાના પાસનો લાભ મેળવી ઘરે પરત પહોંચે તેવો અમારો અભિગમ હોય છે.
હાલમાં રાજ્ય સરકારની જુદી-જુદી યોજનાઓનો લાભ મેળવવા માટે ઓનલાઇન ફોર્મ ભરવાનું હોય છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા કે, ઓછું ભણેલા હોય તેવા અરજદારોને ઓનલાઈન ફોર્મ ભરવામાં ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે. ત્યારે અરજદારોએ બહારથી ખાનગી ધોરણે અરજી કરવી પડતી હોય છે. જેમાં લોકોને ૨૦૦-૩૦૦ રૂપિયા જેટલો ખર્ચ થઈ જતો હોય છે, જે ગરીબ-મધ્યમ વર્ગના લોકોને આંશિક લાભ મળી રહે તે માટે તેમની અરજી ઓફલાઈન લઈ, તેને ઓનલાઈન કરી આપવામાં આવે છે.
સામાન્ય રીતે કચેરીના સમય દરમિયાન રિશેષ-લંચનો ટાઈમ નિર્ધારિત થયેલ હોય છે, પરંતુ દિવ્યાંગ સહિતના રોજદારોને ધ્યાનમાં રાખી ને રિશેષ સમય દરમિયાન પણ કામગીરી ચાલુ રહે છે. જેથી અરજદારોને રાહ ન જોવી પડે અને વિનાવિલંબે તેમનું કામ થઈ શકે. ઉપરાંત અરજદારોને બેસવા માટે ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી અરજદારો શાંતિપૂર્વક અને આરામદાયી રીતે પોતાનું કામ પૂર્ણ કરી શકે.
શ્રી રામાણી કહે છે કે, ઘણી વખત જાગૃત નાગરિક તરફથી રખડતા -ભટકતા દિવ્યાંગો માટે પણ જરૂરી સાધન-સહાય ચૂકવવાની રજૂઆતો આવે છે, આ સ્થિતિમાં ઉદારતા દાખવી વિશેષ મંજૂરી મેળવી લાભાર્થીઓને ગણતરીના સમયમાં સહાય આપી હોય તેવા ઘણા દાખલાઓ છે.
ગ્રામ્ય વિસ્તારના લોકોને સમાજ સુરક્ષાની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે જિલ્લાકક્ષાએ લાંબુ ન થવું પડે તે માટે દર ગુરુવારે એક દિવસ કર્મચારી તાલુકા કક્ષાએ હાજર રહે તે માટેની સેવા શરૂ કરવામાં આવનાર છે. આ માટે જરૂરી પ્રક્રિયા ચાલુ ચાલી રહી છે.
શ્રી રામાણી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીના કર્મયોગીઓના નામોલ્લેખ કરતા કહે છે કે, ઓફિસના નયનાબેન પુરોહિત, નરેશભાઈ કાથડ, દિનેશભાઈ કાપડી, દિલીપભાઈ ગોહિલ, નરેશભાઈ સોલંકી, દર્પણભાઈ પુનપરા અને સુરભીબેન રાઠોડ આ તમામ કર્મચારીઓના ખૂબ સહયોગના પરિણામે આ કામગીરી શક્ય બની છે.
આમ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીના કર્મચારીઓએ કર્મયજ્ઞને સાચા અર્થમાં સેવાયજ્ઞમાં પરિવર્તિત કર્યો છે.
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સહ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી શ્રી એચ.એમ. રામાણી પાસે પોરબંદર જિલ્લાનો અતરિક્ત ચાર્જ હોવાની સાથે ઘણી બધી વ્યસ્તતા વચ્ચે પણ જરૂરિયાતમંદોને વિનાવિલંબે સરકારી સેવાઓ-યોજનાઓનો લાભ મળી રહે તે માટેની પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહ્યા છે.
