પેટા
ઇજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડી લોકગાયિકા ફરિદા મિરે માનવતા બતાવી
જેતપુર તા. 18 ( હરેશ ભાલીયા દ્વારા)
જેતપુરના દેરડી અને ભાદર સામા કાંઠા વિસ્તારમાં જવાના રસ્તે ગત મોડી રાત્રિના એક બાઇક અને એક્ટીવા સામસામાં અથડાતાં 5 જણાને ણાની મોટી ઇજાઓ થઈ હતી. જેઓ તમામને લોકગાયિકા ફરિદા મિરે પોતાના વાહન દ્વારા સરકારી હોસ્પિટલે પહોંચાડીને માનવતા બતાવી હતી.
મળતી વિગતો મુજબ જેતપુરના દેરડી અને સામા કાંઠા વિસ્તારમાં જવાના રોડ પર એક અજાણ્યા એક્ટિવા ચાલકે સામેથી આવતા ચિરાગભાઈ નામના યુવાનના બાઇક સાથે અકસ્માતે એક્ટીવા અથડાવતા બંને વાહનોમાં સવાર ચાર-પાંચ જણાંને નાની મોટી ઇજાઓ થઈ હતી.
અકસ્માત સર્જી એક્ટીવા ચાલક ઘટના સ્થળેથી નાસી જતાં તેમના બાઇક પાછળ બેઠેલો કનૈયા ત્રિલોક યાદવ નામનો 30 વર્ષના યુવાનને પણ ઇજા થઈ હતી. જ્યારે સામે બાઇક ચાલક ચિરાગભાઈ અશોકભાઇ ઉ. વ. 30 (રહે. દેરડી ધાર આવાસ)ને તેમજ તેમના બાળકો સહિતના પરિવારજનોને નાની મોટી ઇજાઓ થઈ હતી.
બીજી બાજુ જ્યારે આ અકસ્માત સર્જાયો ત્યારે આ કાર્યક્રમ કરીને પસાર થઈ રહેલા લોકગાયિકા ફરિદા મીરના ધ્યાને અકસ્માતની ઘટના સામે આવતા તેઓએ તરત જ પોતાનું વાહન રોકી, તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડીને માનવતા બતાવી હતી. સંબંધિત પોલીસ અકસ્માત સર્જીને નાસી જનાર એક્ટિવા ચાલકની શોધખોળ આદરી છે. લોકગાયિકાએ બજાવેલી સેવાની સાર્વત્રિક સરાહના થઈ રહી છે.


