ગુજરાતી રંગભૂમિના ઉચ્ચ દરજ્જાના કલાકાર શાંતા ગાંધી મૂળ અમરેલીના પરંતુ મહારાષ્ટ્રના નાસિકમાં જન્મેલા શાંતાબેન મુંબઈ અને પુનામાં ભણ્યા હતા. તેઓ ગુજરાતી ચરિત્ર અભિનેત્રી દીના પાઠકનાં બહેન હતા. તેઓ ઇન્દિરા ગાંધીના સહાધ્યાયી અને મિત્ર પણ હતા. વિદ્યાર્થીવસ્થામાં સામ્યવાદી વિચારધારાનો રંગ પણ લાગેલો. એન્જિનિયર પિતાની ઈચ્છા મુજબ મેડીસીનનો અભ્યાસ કરવા ઇંગ્લેન્ડ ગયા પણ 1939માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થતા તેમનો મેડીકલનો અભ્યાસ અધુરો રહ્યો હતો. શાંતા ગાંધીનો જીવ નાટકનો હતો. યુવાવસ્થામાં સંસ્કૃત નાટકો પ્રત્યેના લગાવને લઈ ભરતમુનિના નાટ્યશાસ્ત્રથી લઇ કાલિદાસ, ભાસ, ભવભૂતિ જેવા અનેક પ્રાચીન નાટ્યકારોને આત્મસાત કર્યા અને તેમના વિશે ભણ્યા અને ભણાવ્યું. નાટકોમાં તેમને લોકનાટ્યનું ભવાઈ સ્વરૂપ વિશેષ પસંદ હતું. તેમના રઝીયા સુલતાન અને જસમા ઓડણ નાટકો વિશેષ પસિદ્ધિ પામ્યા હતા .તેમાંય જસમા ઓડણ નાટક તો સમકાલીન નાટકોમાં સીમાચિન્હરૂપ લેખાયું હતું. મેના ગુર્જરી ફિલ્મ તેમણે બહેન દીના પાઠક સાથે કરી હતી. થોડો સમય તેઓ અલ્મોડામાં ઉદયશંકર નાટયગૃહ સાથે જોડાયેલા હતા. તેમણે અવેહી નામનાં મંડળની સ્થાપના કરી હતી તથા શાંતાબેન ઇન્ડિયન પીપલ્સ થિયેટર એસો.ના સ્થાપક સભ્ય તેમજ દિલ્હી બાલભવનનાં અધ્યક્ષ પણ હતા. તેમણે વાર્તાસંગ્રહ ઉગતો છોડ, નવલકથા અવિનાશ અને વ્યકિત ચિત્રોનો સંગ્રહ ગુજરાતણને પગલે પગલે લખ્યા હતા. નાટયક્ષેત્રે પ્રદાન બદલ તેઓને પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો. 6 મે 2002એ તેમનું અવસાન થયું હતું. ભાવવંદન
દેસાઈ માનસી શાસ્ત્રી


