ગુજરાત અને તમિલનાડુ રાજ્ય વચ્ચેના સદીઓ જૂના ઐતિહાસિક સાંસ્કૃતિક સંબંધોને ભવ્ય રીતે ઉજાગર અને વધુ મજબૂત કરવા સૌરાષ્ટ્રના અલગ-અલગ જિલ્લાઓમાં યોજાઈ રહેલા સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં સહભાગી થવા આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રિય આરોગ્યમંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા સહિતના મહાનુભાવો સાથે સોમનાથ ખાતે આવી પહોંચ્યા હતા. આ નિમિત્તે ઉદ્ઘાટન અગાઉ સંરક્ષણ મંત્રીશ્રી રાજનાથ સિંહ, તેલંગાણા તેમજ પૂડુચેરીના ગવર્નર શ્રીમતી તમિલીસાઈ સોંદરરાજન, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રિય આરોગ્યમંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાએ પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
આ તકે, મહાનુભાવોએ ભગવાન શિવના ચરણોમાં શીશ ઝુકાવી પ્રજાના સુખ,શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે પ્રાર્થના કરી હતી. મંદિરમાં આગમન સાથે જ સૌ પ્રથમ શરણાઈની મધુર ધ્વની સાથે પંડિતો દ્વારા શ્લોકોના સુમધુર ઉચ્ચારણોથી મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રી સહીતના મહાનુભાવોએ ભગવાન મહાદેવને ગંગાજળનો જળાભિષેક અર્પણ કર્યા બાદ પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી.
સોમનાથ મંદિરમાં આ દર્શન મુલાકાત પ્રસંગે નવસારી સાંસદ શ્રી સી.આર. પાટીલ, આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ,વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુળુભાઈ બેરા, સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમા,જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રામીબેન વાજા,જિલ્લા કલેકટરશ્રી એચ.કે.વઢવાણીયા,જિલ્લા વિકાસ અધિકારીશ્રી રવીન્દ્ર ખતાલે, રેન્જ આઈ.જી. શ્રી મયંકસિંહ ચાવડા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ જાડેજા, સોમનાથ ટ્રસ્ટ સેક્રેટરીશ્રી યોગેન્દ્ર દેસાઈ, ટ્રસ્ટીશ્રી પી.કે.લહેરી સહિત પદાધિકારીશ્રીઓ/અધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં.હોવાનું પત્રકાર હરેશભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું


