અનઅધિકૃત બાંધકામને નિયમીત કરવા માટેની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. તા.૧૬-૬-૨૦૨૩ સુધીમાં અનઅધિકૃત બાંધકામને રેગ્યુલાઈઝ કરવા માટે અરજી કરી શકાશે. રાજ્ય સરકારે મંજૂરી વગરના અનઅધિકૃત બાંધકામને નિયમીત કરવા માટે ચાર માસનો વધારો કર્યો છે. જેથી બાંધકામ રેગ્યુલાઈઝ કરવાની વધુ એક તક મળી રહેશે.
જૂનાગઢ નગરપાલિકા, મહાનગરપાલિકા, જુડા, ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયત મારફત બાંધકામ વિકાસ પરવાનગી મેળવવામાં આવી હોય, પંરતુ તે બાંધકામનું વપરાશ પ્રમાણપત્ર મેળવેલ ન હોયતેવા લોરાઈઝ તથા હાઈરાઈઝ બિલ્ડિંગ, વાણીજ્ય હેતુના બિલ્ડિંગો, હોટલો, રેસ્ટોરન્ટ, વૈધકીય વ્યવસાય કરતાં બિલ્ડિંગ તથા તમામ ખાનગી રહેણાંક વપરાશકારો કે કબજેદારોએ સ્થળ મંજૂરી પરવાનગી કરતા ફેરફાર કે, વધારાનું બાંધકામ હતુ ફેર કરેલ હોય તો બિલ્ડિંગના વપરાશ કારોએ સંયુક્ત રીતે ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમીત કરવાના વટહુકમ, ૨૦૨૨ અંતર્ગત વધારાનું બાંધકામ અંગે સરકારશ્રી દ્વારા તા.૧૬-૨-૨૦૨૩ સુધીમાં ઓનલાઈન અરજી કરી બિલ્ડિંગ રેગ્યુલાઈઝ કરાવી લેવા જણાવવામાં આવ્યું હતું. પરંતુ હાલમાં સરકારશ્રી દ્વારા ઉપરોક્ત વટહુકમમાં તા.૧૬-૨-૨૦૨૩થી ચાર (૪) માસનો વધારો કરવામાં આવ્યો છે એટલે કે, તા.૧૬-૬-૨૦૨૩ સુધીમાં નિયત નમુનામાં જરૂરી આધાર પુરાવા સાથે અરજી કરી પોતાની મિલ્કત રેગ્યુલાઈઝ કરાવી લેવા સૂચિત કરવામાં આવે છે. જે મુજબ બાંધકામ સમય મર્યાદામાં નિયમીત કરવામાં નહી આવે તો મનપા તંત્ર દ્વારા જી.પી.એમ.સી. એક્ટની જોગવાઈ અનુસાર કાયદાકીય કાર્યવાહી હાથ ધરી અને બાંધકામ વપરાશ બંધ કરવામાં આવશે. તેમ મ્યુનિસિપલ કમિશનરશ્રીની યાદીમાં જણાવાયું છે.
