રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા જામનગર તાલુકાના મોટા થાવરીયા ગામ ખાતે વાસ્મો પુરસ્કૃત આંતરિક પેયજળ યોજનાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. જેમાં રૂ. ૮૫.૨૨ લાખના ખર્ચે નવનિર્માણ પામેલા ૧.૫૦ લાખ લીટર ક્ષમતા ધરાવતો સંપ, ૭૫,૦૦૦ લીટર ક્ષમતા ધરાવતી ઊંચી ટાંકી, ૧૪ કિ.મિ. લાંબી આંતરિક વિતરણ પાઈપલાઈન, ગામના ૪૭૬ ઘરોમાં નળ જોડાણ અને પંપ હાઉસનો સમાવેશ થાય છે.
લોકાર્પણ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ ‘સૌની યોજના‘ના સમાવિષ્ટ લક્ષ્યાંકો પૂર્ણ કરી રહી છે. વર્ષ ૨૦૨૪ પહેલા અત્યારે એટલે કે વર્ષ ૨૦૨૩ માં જ જામનગર જિલ્લામાં સૌની યોજનાના લક્ષ્યાંકો પરિપૂર્ણ થવાના આરે છે. જામનગર જિલ્લાના ૧,૪૨,૦૮૪ ગ્રામ્ય ઘરોમાં ‘નળ સે જળ‘ કાર્યક્રમ હેઠળ નળ જોડાણ પુરા પાડવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સુચારુ શાસનમાં આપણી માતાઓને હવે પોતાના ઘરે પાણી મેળવવા માટે રાહ જોવાની જરૂર નથી પડતી.
કાર્યક્રમમાં સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર શ્રી ખાંટભાઈ, નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી રાજ્યગુરુભાઈ, વાસ્મો જિલ્લા કો-ઓર્ડીનેટર શ્રી દુષ્યંતસિંહ જાડેજા, વાસ્મો ટેક્નિકલ આસિસ્ટન્ટ શ્રી અલ્પેશભાઈ ખીરસરિયા, વાસ્મો આસિસ્ટન્ટ મેનેજર શ્રી અમીબેન ગોંડલીયા,ગ્રામ સરપંચ શ્રી કરસનભાઈ ચોવટીયા તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


