જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ શાંતાબેન ખટારીયાના અધ્યક્ષતામાં ભેસાણ તાલુકાના રાણપુર ખાતે તાલુકાકક્ષાની પશુપાલન શિબિર યોજાઈ હતી. જેનો ૩૦૦થી વધુ પશુપાલકો- ખેડૂતોએ લાભ લીધો હતો. આ શિબરમાં વૈજ્ઞાનિક ઢબે પશુપાલન, દૂધ ઉત્પાદન વધારવા અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી સહિતના મુદ્દે પશુપાલકોને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાવજ ડેરીના ચેરમેન અને ગુજરાત મીલ્ક માર્કેટીંગ ફેડરેશનના ડિરેક્ટર શ્રી દિનેશભાઈ ખટારીયાએ પ્રાસંગિક સંબોધન કરતા જણાવ્યું કે, કેન્દ્ર-રાજ્ય સરકારે પશુપાલકો-ખેડૂતો આત્મનિર્ભર બને અને તેમની આવકમાં વૃદ્ધિ થાય તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. ત્યારે ખેડૂતો-પશુપાલકો આ યોજનાઓનો લાભ મેળવી અને વૈજ્ઞાનિક ઢબે પશુપાલન અપનાવી આર્થિક સમૃદ્ધિ તરફ આગળ વધે માટે આહવાન કર્યું હતું.
આ શિબિરમાં પશુ નિયામક ડો. ડી.ડી.પાનેરા અને પશુ ચિકિત્સક ડો. શિંગાળાએ પશુ સંવર્ધન, પોષણ, માવજત, રસીકરણ સહિત પશુ આરોગ્યના મુદ્દે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત પશુપાલન ખાતાની પશુપાલકો માટેની યોજનાઓની પણ વિગતવાર જાણકારી આપી હતી.
આ તકે ડો.આર.બી. સાવલિયાએ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી સંદર્ભે ઉડાણપૂર્વક જાણકારી આપી હતી.
આ પ્રસંગે રાણપુર ગામના સંરપંચ શ્રી સુરેશભાઈ સાવલીયાએ શાબ્દિક સ્વાગત અને ભેસાણ તાલુકા પંચાયતના સદસ્ય શ્રી ગાંડુભાઈ કથિરીયાએ પ્રાસંગિક સંબોધન કર્યું હતું.
આ જિલ્લા-તાલુકાકક્ષાની પશુપાલન શિબિરોનું જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ શાંતાબેન દિનેશભાઈ ખટારીયા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયતની મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેમપર્સન શ્રીમતી લાભુબેન અનુભાઈ ગુજરાતી, જિલ્લા પંચાયતના સદસ્ય અને શાસકપક્ષાના નેતા શ્રી કુમારભાઈ બસીયા, ભેસાણ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી હિનાબેન સાવલીયા, અગ્રણી શ્રી રતિલાલભાઈ, ડો. ઉમરેટીયા અને મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો. વઘાસીયા અને ભેસાણ પશુપાલન ટીમે જહેમત ઉઠાવી હતી.


