સુરેન્દ્રનગર-વઢવાણ
સુરેન્દ્રનગર-વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ ફેબ્રુઆરી-૨૦૨૩ના માસમાં જુદા જુદા નિયમોના ભંગના ૩૪૬૪ લોકો સામે કેસ કરીને રૂ. ૧૨,૩૭,૦૦૦નો દંડ વસૂલાયો હતો. જેમાં ૨૮ વાહનો પણ ડિટેઇન કરાયા હતા. આમ શહેરી વિસ્તારોમાં દૈનિક ૧૨૪ થી વધુ લોકો નિયમો ભંગ કરતા પકડાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રાફિક નિયમન સાથે અકસ્માતોનું પ્રમાણ શહેરી વિસ્તારમાં ઘટે તે માટે જિલ્લા પોલીસવડા હરેશ દુધાતની સૂચના અને માર્ગદર્શનથી કાર્યવાહી કરાઇ રહી છે. તેમ છતા સુરેન્દ્રનગર-વઢવાણ શહેરના માર્ગો પર ટ્રાફિકના નિયમોનો લોકો ભંગ કરી રહ્યા છે. આથી ટ્રાફિક પીએસઆઈ એન.એચ.સોલંકી સહિતના સ્ટાફ દ્વારા શહેરના ઉપાસના સર્કલ , ગેબનશાપીર સર્કલ,આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, હેન્ડલુમચોક, રતનપર, જાેરાવરનગર, ટાવર રોડ, બસ સ્ટેશન, ટાંકીચોક, , જવાહર રોડ, પતરાવાળી તેમજ એપીએમસી ચોકડી સહિતના વિસ્તારોમાં ટ્રાફિક નિયમની કામગીરી હાથ ધરી હતી. જેમાં ફેબ્રુઆરી-૨૦૨૩ એટલે કે છેલ્લા એક માસમાં દરરોજ ૧૨૪ થી વધુ લોકો ઝપટે ચડ્યા હતા. જેમા જુદા જુદા નિયમોનો ભંગ કરતા ૩૩૩૫ લોકોને સ્થળ પર જ હાજર દંડ રૂ. ૧૧,૩૨,૨૦૦ કરાયો હતો. આ ઉપરાંત ૨૮ જેટલા વાહનચાલકોના વાહનો ડિટેઇન કરીને ૯૭,૩૦૦નો દંડ વસૂલાયો હતો. જ્યારે લારી પાથરણા?વાળા વિરૂદ્ધ કાર્યવાહી કરાતા ૬૬ લોકોને પણ રૂ. ૬૬૦૦નો દંડ કરાયો હતો. તમાકુ ખાઇને જાહેરમાં ભંગ કરતા ૯ લોકોને રૂ. ૯૦૦નો દંડ કરાયો હતો. આ ઉપરાંત દારૂ પીધેલા-૪, ભયજનક વાહન ચલાવતા -૩ તેમજ ટ્રાફિક અડચણરૂપ લારી, પાથરણા, વાહન રાખીને નિયમ ભંગ કરતા ૨૦ લોકો સામે કાર્યવાહી કરાઇ હતી. આમ છેલ્લા એક માસમાં શહેરી વિસ્તારોમાં ટ્રાફિક નિયમના ભંગ બદલ કુલ ૩૪૬૪ લોકોને રૂ. ૧૨,૩૭,૦૦૦નો દંડ કરાયો હતો.


