‘વરાહરૂપમ’, ‘દશાવતારમ’, ‘શેષશૈયા’…!
સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં અમારી ટીમની કલાકારી દ્વારા પ્રભાસ તીર્થની સેવા કરવા મળી એ બદલ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર: રાઘવભાઈ પ્રજાપતિ
ગીરગઢડા તા 17
ભરત ગંગદેવ
વડાપ્રધાન ની ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની પરિકલ્પનાને સાકાર કરતા ગુજરાત અને તામિલનાડુની સંસ્કૃતિનો અદભૂત સમન્વય સૌરાષ્ટ્ર તમિલ સંગમ દરિયાકિનારે યોજાવાનો છે ત્યારે મૂળ સૌરાષ્ટ્રના અને તમિલનાડુ સ્થાયી થયેલા બંધુ-ભગીનીઓને આવકારવા સોમનાથ સજ્જ થયું છે. સોમનાથ મંદિરની આસપાસ પ્રભાસ ક્ષેત્રમાં ગુજરાતના ખૂણેખૂણેથી આવતા કલાકારોએ ‘વરાહરૂપમ’, ‘દશાવતારમ’, ‘શેષશૈયા’ જેવી ભારતીય સંસ્કૃતિમાં જેનો ઉલ્લેખ છે એવા પૌરાણિક મહત્વ દર્શાવતા ભીંતચિત્રોથી શોભાયમાન કર્યુ છે.
ગુજરાતના ખૂણેખૂણાથી આવેલા કલાકારોએ આશરે ૯૦ કરતા પણ વધુ ચિત્રોથી સોમનાથ મંદિર પ્રાંગણ તેમજ પ્રભાસ તીર્થને પોતાની અનોખી કલાકારીથી સજાવ્યું છે. આ તમામ ચિત્રોમાં પ્રતિકરૂપે વહાણવટા માફક હિજરતથી લઈ અને તમિલ સંસ્કૃતિનું તેમજ પ્રભાસની ભૂમિ પર રહેલા વિવિધ તીર્થક્ષેત્રની ઐતિહાસિક ધરોહરનું અનોખું સાયુજ્ય દર્શાવવામાં આવ્યું છે.
વિજાપુરના આર્ટીસ્ટ રાઘવભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, અહીં જ્યારે લોકો અમારી કલાકારી સાથે સેલ્ફી લે છે ત્યારે ખૂબ જ ખુશી થાય છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં અમારી ટીમની કલાકારી દ્વારા પ્રભાસ તીર્થની સેવા કરવા મળી એ બદલ અમારી સમગ્ર ટીમ વતી હું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરૂ છું.
સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, ‘સોમનાથ તીર્થમાં પધારતા તમિલ બાંધવોનું ઢોલ શરણાઈ દ્વારા સ્વાગત કરવામાં આવશે તેમજ તેમના માટે મંદિરોમાં ઈતિહાસ તેમજ સાઈન બોર્ડ પણ તમિલ ભાષામાં તૈયાર કરવામાં આવ્યા છે. ઉપરાંત મંદિરમાં યોજાનાર લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ અંગ્રેજી ભાષામાં રજૂ કરવામાં આવશે. ખાસ સૌરાષ્ટ્ર અને તમિલનું સાયુજ્ય દર્શાવતા ભીંતચિત્રો પણ આર્ટિસ્ટો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે અને તમિલ બાંધવો ધ્વજાપૂજા પણ સારી રીતે કરી શકે તેવી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.’


