મહાશિવરાત્રીને લઇને ભવનાથ તળેટી ખાતે ચાર દિવસીય મેળો યોજાનાર છે. આ મેળો માણવા લાખો શ્રધ્ધાળુઓ ઉમટી પડતા હોય છે. ત્યારે શ્રી ભારતી આશ્રમ દ્વારા એક દિવસ માટે મહા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ બે દિવસ માટે જૂનાગઢની આસ્થા હોસ્પિટલ દ્વારા વિના મૂલ્યે દર્દીઓને ડાયાબીટીસ ચેકઅપ કરી આપશે.
મહાશિવરાત્રીના પર્વને લઇને શ્રી ભારતી આશ્રમ જૂનાગઢ ખાતે શ્રી હરિહરાનંદ ભારતીબાપુ તથા શ્રી મહાદેવ ભારતીબાપુની પ્રેરણાથી અને જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.નયના લકુમ અને સિવિલ સર્જન ડો.પાલા લાખણોત્રા તેમજ બાપાસીતારામ ગૃપના સહકારથી મહા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહા બ્લડ ડોનેશન કેમ્પ તા.૧૬ ફેબ્રુઆરીને સવારના ૯ થી સાંજના ૫ વાગ્યા સુધી શ્રી ભારતી આશ્રમ, ગીરનાર તળેટી, ભવનાથ ખાતે રાખવામાં આવેલ છે. તેમજ તા.૧૬ અને ૧૭ ફેબ્રુઆરી સુધી આ સ્થળ ઉપર જૂનાગઢની આસ્થા હોસ્પિટલના ડો.ચિંતન યાદવના માર્ગદર્શન હેઠળ મેળામાં આવતા દર્દીઓને વિના મૂલ્યે ડાયાબીટીસ ચેકઅપ કરી આપશે.
